રાજકોટ41 મિનિટ પહેલા
- કૉપી લિંક

મૃતકોની ફાઈલ તસવીર
રાજકોટ-અમદાવાદ હાઈવે ફરી એક વખત રકતરંજીત બન્યો છે. માલીયાસણ પાસે પુરપાટ ઝડપે આવેલ કાળમુખા ટ્રકની ઠોકરે બાઈક સવાર બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
આપણે રાજકોટ જવું છે
પ્રાપ્ત વિગત મુજબ શુકલ પીપળીયા ગામે સાત હનુમાન મંદિર પાસે રહેતા વિનુભાઈ રૂડાભાઈ જખાનીયાનો પુત્ર ધુધો (ઉ.વ.18) ગઈકાલે રાત્રીના ઘરે હતો ત્યારે સાંજના સમયે તેના કુટુંબી ભાઈ બહાદુર છગનભાઈ સાડમીયા (ઉ.વ.25) નો ફોન આવ્યો હતો કે, આપણે રાજકોટ જવું છે.
બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા
જેથી ધુધો બાઈક લઈ તેની પાસે ગયો હતો અને બાદમાં બન્ને રાજકોટ ગયા હતા. જયાંથી બન્ને બાઈકમાં પરત ફરતા હતા ત્યારે માલીયાસણ ગામ પાસે એચ.પી. પંપ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઘુસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બંને બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ધુધાને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે સાથેના બહાદુરને લોહીલુહાણ હાલતમાં એકઠા થયેલ લોકોએ 108 મારફતે સારવારમાં અત્રેની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું.
બન્નેના પરિવાર પર આભ તુટી પડયું
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પીએસઆઈ વળવી સહીતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક ધુધો અપરિણીત અને ત્રણ ભાઈ-બહેનમાં વચેટ તેમજ પશુપાલનનું કામ કરતો હતો અને મૃતક બહાદુર ડ્રાઈવિંગ કામ કરતો અને ત્રણ ભાઈ-બહેનમાં વચેટ અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. જુવાનજોધ પુત્રોના મોત થતા બન્નેના પરિવાર પર આભ તુટી પડયું હતું