ભાવનગર6 કલાક પહેલા
- કૉપી લિંક

11 એપ્રિલ એટલે કે વિશ્વ પાર્કિન્સન દિવસ, પાર્કિન્સન રોગ થવાના ચોક્કસ કારણ નથી એટલે આ રોગનો કોઈ ચોક્કસ ઈલાજ પણ નથી. સંશોધન અને સારવારમાં થયેલી પ્રગતિએ પાર્કિન્સન્સથી પીડિત ઘણા લોકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને તેનો ઈલાજ શોધવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
રોગના મુખ્યત્વે બે લક્ષણોને જોવા મળે છે
ડૉ.ભાવિન માંડવિયા કહે છે કે, પાર્કિન્સન રોગ એટલે કંપવા અને મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ રોગ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતો ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું એક રસાયણ ડોપામાઈનને રિલીઝ કરતા મગજના કોષો અમૂક કારણસર નાશ પામવાના કારણે શરીરના જુદા જુદા અવયવોને અસર કરે છે. આ રોગના લક્ષણોને મુખ્યત્વે બે ભાગમાં જુદા પાડી શકાય છે. Motor-હલનચલન ને લગતા લક્ષણો કે જેમાં ધ્રુજારી, સ્નાયુમાં જકડન, હલન ચલન ધીમી થવી, સમતોલનમાં તકલીફ થવી અને બીજા પ્રકારના લક્ષણોને Non-Motor જેમાં કબજિયાત, વિચાર શક્તિ અને મૂડમાં ફેરફાર થવો, સેક્સુઅલ પ્રોબ્લેમ્સ, દુ:ખાવો, ઊંઘમાં તકલીફ થવી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

યુવાનોમાં પણ આ રોગ થઈ શકે છે
આ રોગ મોટા ભાગે 50 વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળે છે,પરંતુ યુવાનોમાં પણ આ રોગ થઈ શકે છે.જેને યંગ ઓનસેટ પાર્કિન્સન રોગ કહેવાય છે. પાર્કિન્સન રોગ માત્ર તે વ્યક્તિઓ પર જ નહીં, પરંતુ તેમના પરિવારો, સંભાળ રાખનારાઓ, મિત્રો અને તેમના સમાજ પર પણ નોંધપાત્ર અસર કરે છે. પાર્કિન્સન રોગ દર્દીઓના રોજિંદા જીવનમાં તકલીફ પહોંચાડે છે. જેના કારણે દર્દીઓ માનસિક મૂંઝવણ અનુભવતા હોય છે. દર્દીઓ ડિપ્રેશન, તણાવ, ભ્રમ વગેરેના કારણે રોગ સામે લડવાની હિમ્મત ગુમાવી દે છે.
વિનામૂલ્યે કામ કરતું એકમાત્ર સેન્ટર
પાર્કિન્સન્સ અને તેમના પરિવારો સાથેની વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા અને મદદ કરવા માટે સંસ્થાઓ અને ફાઉન્ડેશનો કામ કરે છે. તેમાંની એક સંસ્થા છે, બીકે પારેખ પાર્કિન્સન્સ ડિસીસ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી BKPPDMDS સંસ્થાનું ભાવનગર ખાતેનું યુનિટ સંભાળતા ડૉ.ભાવિન માંડવિયા કહે છે કે,ભાવનગરમાં ચાલતા પાર્કિન્સનના સેન્ટર પર પાર્કિન્સનના દર્દીઓ, વિનામૂલ્યે આ સેવાનો છેલ્લા 10 વર્ષથી લાભ લઇ રહ્યા છે. આ સેશન દર રવિવારે સવારે 11 કલાકે અંધ ઉદ્યોગ શાળા, PNR હોસ્પિટલ પર લેવામાં આવે છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં આ પ્રકારે વિનામૂલ્યે કામ કરતું આ એકમાત્ર સેન્ટર છે.
આ રોગનો કોઈ ચોક્કસ ઈલાજ પણ નથીઆ સેન્ટર પર ગ્રુપ થેરાપી સેશન દ્વારા જુદી-જુદી સારવાર તો થાય છે, સાથે જ દર્દી અને તેમના સગાવહાલાઓને રોગ વિષે માહિતી આપી માનસિક પ્રોત્સાહન પણ અપાય છે. પાર્કિન્સન્સના દર્દીઓને રોગ (PD) ના લક્ષણોનું અસરકારક રીતે સંચાલન કરવા માટે ગ્રુપ થેરાપી સેશનમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી, સ્પીચ થેરાપી, આહાર અને પોષણ, યોગ, શૈક્ષણિક અને જ્ઞાનાત્મક તાલીમ, કલા અને નૃત્ય થેરાપી વિગેરેનો સમાવેશ કરવામાં આવે છે. સંગાથે સૌ આગળ વધીએના સકારાત્મક સૂત્ર સાથે કામ કરતી આ સંસ્થા ગુજરાત અને પુણેમાં પણ કાર્યરત છે. આ પાર્કિન્સન રોગ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. આ રોગનો કોઈ ચોક્કસ ઈલાજ પણ નથી ત્યારે જાગૃતિ, સંશોધન અને સમર્થનની ખુબ જરૂર છે.