સુરેન્દ્રનગર42 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટે આગામી બે મહિનામાં જિલ્લામાં ક્યાંય પીવાના પાણીના પ્રશ્નો ન ઉદભવે તે પ્રકારે આયોજન કરવા જણાવ્યું હતું.
જો પાણીની સમસ્યાને લગતો કોઈ પ્રશ્ન ધ્યાને આવે તો તાત્કાલિક તે પ્રશ્નનું સમાધાન કરવા અને જરૂર પડ્યે રૂબરૂ મુલાકાત લેવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.જિલ્લાના દરેક ગામ અને શહેરી વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સઘન આયોજન કરી જરૂરિયાતવાળા વિસ્તારમાં જરૂરિયાત મુજબ પીવાનું પાણી પહોંચાડવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટરે ડેમ આધારિત પાણીની યોજનાઓની સમીક્ષા કરીને આ યોજનાઓ અંતર્ગત ચાલતા વિવિધ કામો ઝડપથી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ ઉપરાંત સરદાર સરોવર નિગમમાં કેનાલ સાફ-સફાઈ, રીપેરીંગ સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા નિગમના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. વધુમાં તેમણે ધારાસભ્યો દ્વારા પાણીના પ્રશ્નો સંદર્ભે આવતી રજૂઆતોનો ઝડપથી નિકાલ કરવા પણ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ.
આ બેઠકમાં પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર એમ.જી ઠાકુર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાણી પુરવઠાના મેજર પ્રોજેક્ટ તેમજ ચાલતા પાણીના વિવિધ કામો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ, સૌની યોજના, વાસ્મો હેઠળ ચાલતા કામો, ડેમ આધારિત પાણીની યોજનાઓ, સરદાર સરોવર નિગમ અંતર્ગત ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.