ભરૂચ17 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીની હત્યાની આશંકાના પગલે પોલીસ દ્વારા પેનલ પીએમ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક પરિવારની માસુમ છ વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.ત્યારે સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ ન મળતા સિવિલના તબીબે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. સિવિલના તબીબે પણ બાળકીનું મોત પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો.

છ વર્ષીય માસૂમ બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ દ્વારા બાળકીના ઘરની આસપાસના વિસ્તારમાં પહોંચી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.