- Gujarati News
- Dvb original
- Why Did Kajal, Who Attacked On Love Jihad, Conversion, Say, ‘I Will Work For Muslim Women Too’, Said This On The Issue Of Modi, Yogi, Rahul
32 મિનિટ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
- કૉપી લિંક
30 માર્ચ 2023
જ્યારે ઉનામાં બબાલ થઈ અને કાજલ હિન્દુસ્થાનીનું નામ ચર્ચાયું
એ દિવસે રામનવમીનો તહેવાર હતો. સામાન્ય રીતે રામનવમી પર દેશભરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. આવી જ એક શોભાયાત્રાનું આયોજન ગીર સોમનાથના ઉનામાં પણ થયું હતું. આ શોભાયાત્રામાં 30 હજારથી વધુ રામભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન અચાનક જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ અને બે સમુદાય આમને સામને આવી ગયા. બન્ને તરફથી નારેબાજી થઈ, પથ્થરમારો થયો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ જવાબદાર લોકોમાં એક નામ સૌથી ચર્ચાસ્પદ રીતે સામે આવ્યું અને આ નામ એટલે કાજલ હિન્દુસ્થાની.
ઉનામાં થયેલી જૂથ અથડામણમાં પોલીસ જ ફરિયાદી બની
સૌથી નોંધવા જેવી વાત એ છે કે 30 માર્ચે બનેલી ઘટના બાદ ઉના પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ. જેમાં 2 એપ્રિલે ઉના પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા ASI કાંતિભાઈ પરમાર ફરિયાદી બન્યા અને કાજલ હિન્દુસ્થાની સામે ભડકાઉ ભાષણ, ધાર્મિક માન્યતાનું અપમાન કરવું, ધાર્મિક લાગણી દુભાવવી જેવા ગંભીર આરોપ સાથે ફરિયાદ થઈ છે. ધરપકડ થયા બાદ હાલમાં કોર્ટની કેટલી શરતો સાથે કાજલ જામીન પર છે, ત્યારે દિવ્ય ભાસ્કરે સનસની બનેલા કાજલ હિન્દુસ્થાની સાથે વાત કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કાજલ હિન્દુસ્થાની કોણ છે?, એવી તો શું ઘટના બની કે કાજલ અચાનક ફાયરબ્રાન્ડ વક્તા બની ગયા?, કાજલ હિન્દુસ્થાનીનું પારિવારિક ભૂતકાળ શું છે? ઉનામાં ભડકાઉ ભાષણ અને FIR મુદ્દે શું કહેવું છે?, લવ જેહાદના કેવા કિસ્સા તેમની સામે આવ્યા છે?, રાજકારણમાં આવવા મુદ્દે શું વિચાર છે? અને હવે કાજલ હિન્દુસ્થાની કયા ઈરાદે આગળ વધી રહ્યાં છે?, આ સમગ્ર મુદ્દે સવાલો કર્યા હતા.
કાજલનો રાજસ્થાનમાં જન્મ, ગુજરાતમાં લગ્ન થયા
દિવ્ય ભાસ્કરને કાજલે માહિતી આપી કે તેમનો જન્મ રાજસ્થાનના સિરોહી ગામમાં થયો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે જ કાજલે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારનો હોલસેલ અગરબત્તી અને બિસ્કીટનો બિઝનેસ હતો. પરિવારમાં એવું કોઈ રાજનીતિક વાતાવરણ નહોતું. પારિવારિક રીતે સંઘર્ષ કરતાં કરતાં એ ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટના વિષય સાથે ગ્રેજયુએશન કર્યું હતું. વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જવલંત શિંગાળા સાથે કાજલના મેરેજ થયા. સસરા પક્ષને પણ રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો.
એ ઘટનાએ કાજલ શિંગાળાનું જીવન બદલી નાખ્યું
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કાજલે કહ્યું, ‘વર્ષ 2016માં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારેબાજી થઈ હતી. આ ઉપરાંત અફઝલ ગુરુના સમર્થનમાં પણ કાર્યક્રમ થયો હતો. ત્યારે મને એવું લાગ્યું કે ભારતની રાજધાનીમાં આવી નારેબાજી થાય તો વાંક વિદ્યાર્થીઓનો નથી, આ ઘટનામાં સામાન્ય લોકોનો જ વાંક છે. કારણકે જ્યારે સામાન્ય લોકો નિષ્ક્રિય થાય ત્યારે જ દેશ વિરોધી તત્વો સક્રિય થતાં હોય છે. જેથી મને એવું લાગ્યું કે, અમારા જેવા લોકોની જવાબદારી બને છે કે અમે સમાજ અને દેશ નિર્માણમાં સહભાગી થઈએ. JNUની ઘટના બાદ જ મારા જાહેર જીવનની શરૂઆત થઈ હતી.’
કાજલે પોતાની અટક બદલીને “હિન્દુસ્થાની” અટક કેમ લગાવી?
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કાજલે જણાવ્યું કે, ‘મારો રાજસ્થાનમાં જન્મ થયો છે પરંતુ મારી કર્મભૂમિ તો ગુજરાત જ છે. ગુજરાતમાં મારા લગ્ન થયા છે એટલે મને મારા સાસરી પક્ષની ભાષા એટલે કે ગુજરાતી શિખવામાં વધારે મુશ્કેલી નથી પડી. મારા પિયરમાં ત્રિવેદી અટક લખવામાં આવે છે. સાસરી પક્ષે શિંગાળા અટક લખાય છે. ગુજરાતમાં વર્ષ 2017માં જાતિવાદનો મુદ્દો ખૂબ વધારે ચર્ચાયો હતો. વર્ષ 2015-16માં પાટીદાર આંદોલન ચાલ્યું હતું. ભ્રમિત કરવાનું એક આખું કાવતરું ગુજરાતમાં ચાલ્યું હતું. ગુજરાતમાં જાતિવાદ ખૂબ વધારે ફેલાયેલો છે. એક તરફ પાટીદાર આંદોલન, દલિત સમાજનું પણ એક આંદોલન ચાલ્યું હતું અને ઠાકોર સમાજ પણ એક આંદોલન કરી રહ્યું હતું. ત્યારે મને થયું કે મેં તો આટલો જાતિવાદ ક્યારેય નથી જોયો, અમુક લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે જાતિવાદ ઊભો કરે છે. એટલે હું હિન્દુ છું અને હિન્દુસ્થાનમાં રહું છું. અહિંયા રહેતો દરેક વ્યક્તિ હિન્દુસ્થાની છે. જેમાં નાત-જાત ન હોવી જોઈએ. એટલે આ સંદેશ આપવા વર્ષ 2017માં મેં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મારી અટક “હિન્દુસ્થાની” કરી નાખી. જો કે સરકારી કાગળ પર મેં હજુ ફેરફાર કરાવ્યો નથી.’
કાજલે ઈતિહાસને ટાંકીને દાવો કર્યો કે, ‘કેટલાક લોકો હિન્દુસ્તાની લખે છે. મુઘલ જ્યારે આવ્યા ત્યારે તેઓ ‘થ’ અક્ષરને ‘ત’ બોલતા હતા. એટલે જ પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા નામ પડ્યા. પરંતુ ભારત એટલે તો હિન્દુસ્થાન છે, હિન્દુસ્તાન નહીં. એટલે હું હિન્દુસ્થાન લખું છું.’
મારું કામ તો ખિસકોલી જેવું છે: કાજલ હિન્દુસ્થાની
છેલ્લા સાતેક વર્ષથી કાજલ હિન્દુસ્થાની ધર્માંતરણ અને લવ જેહાદના મુદ્દે ખૂબ જ સક્રિય રીતે કામ કરે છે અને આવી ઘટનાઓ મુદ્દે આક્રમકતાથી ભાષણ આપવાના કારણે પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. દિવ્ય ભાસ્કરને આ મુદ્દે જણાવ્યું કે, ‘હિન્દુ યુવતીઓના ધર્માંતરણને અટકાવવા માટે ઘણા લોકો કામ કરે છે, જેમાં મારુ કામ તો ખિસકોલી જેટલું જ છે.’ કાજલે એ પણ ચોંકાવનારો દાવો કર્યો કે, ‘પહેલાં હિન્દુ યુવતીઓના ધર્માંતરણને જેટલા કેસ એક વર્ષમાં આવતા હતા, એટલા માત્ર 15 દિવસમાં આવવા લાગ્યા છે. 95 ટકા કેસમાં છોકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવવામાં આવે છે. સુરતની એક ઘટનામાં છોકરાએ વાસુ નામ આપીને છોકરીને ફસાવી, જો કે તેનું સાચું નામ વસીમ હતું. છોકરાનો પરિવાર પણ આ ગુનામાં સામેલ હતો. છોકરાએ કહ્યું હતું કે, હું તો રાજસ્થાનના અલવરનો છું અને સુરતમાં માત્ર નોકરી કરવા માટે જ આવ્યો છું. છોકરાના પરિવારે પણ જ્યારે ફોન પર વાત કરી ત્યારે છોકરીને અંદાજો ન આવવા દીધો કે તેમનો ધર્મ શું છે.’
દિવ્ય ભાસ્કર સમક્ષ કાજલ હિન્દુસ્થાનીએ એ પણ દાવો કર્યો કે, ‘છેલ્લા દોઢથી પોણા-બે વર્ષમાં ઈન્સ્ટાગ્રામથી મને 2200 જેટલા કેસ મળ્યા છે. જેમાંથી અમે ઘણી છોકરીઓનું “રેસ્ક્યૂ” કર્યું છે. ચિંતાની વાત એ છે કે 95 ટકા કિસ્સામાં છોકરીની ઉંમર 13-14 વર્ષની હોય છે. એટલે હું મારી “ધર્મસભા”માં લોકોને જાગૃત કરુ છું. જેમ કોરોના વાયરસની જે પેટન્ટ હોય, ઉધરસ, શરદી, તાવ વગેરે જેવી પેટન્ટ હોય છે, એવી જ રીતે “જેહાદી વાયરસ”ની પણ એક પેટન્ટ છે. હિન્દુની દીકરીને ફસાવો, તેની સાથે મિત્રતા કરો, પ્રપોઝ કરો, પછી તેના આપત્તીજનક વીડિયો અને ફોટો લઈ લો. ત્યાર બાદ બ્લેકમેઈલ કરો.’
ઉનામાં ભડકાઉ ભાષણ મુદ્દે કાજલ હિન્દુસ્થાનીએ શું કહ્યું?
ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે કાજલ હિન્દુસ્થાની સામે પોલીસ ફરિયાદ થઈ છે. કાજલ પર આરોપ છે કે તેમણે ભાષણમાં કહ્યું હતું કે, “મુસ્લિમ છોકરીઓ, હિન્દુ છોકરાઓ સાથે લગ્ન કરે તો ફાયદો થાય”. આ મુદ્દે દિવ્ય ભાસ્કરે જ્યારે સવાલ કર્યો તો તેમણે ભાષણમાં ઉચ્ચારેલી વાતનો સ્પષ્ટ રીતે જવાબ ન આપ્યો. કાજલે દિવ્ય ભાસ્કરના રિપોર્ટરને કહ્યું, ‘આ તો તમે મારા વીડિયોમાં જ જોઈ લેજો. એમાં તમને બધુ સારી રીતે મળી જશે. જેનાથી મારો અને તમારો સમય બચી જશે.’
જૂથ અથડામણ બાદ ઉનામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.
જો કે કાજલે આ જ મુદ્દે પોતાનો બચાવ કરતા પણ કેટલીક દલીલ રજૂ કરી અને કહ્યું, ‘મેં યુનિફોર્મ સિવિલ કોડને લઈને નિવેદન આપ્યું હતું. હું એ દિવસ પણ એક કાર્યક્રમમાં ગઈ હતી ત્યારે અમુક મુસ્લિમ બહેનો મને મળવા માટે આવી હતી. થોડા સમય પહેલાં મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં મારા કાર્યક્રમ હતા, ત્યારે પણ મુસ્લિમ બહેનો મને મળી હતી. એમનું કહેવું છે કે, અમને તમારી જેમ સમાનતાના અધિકાર નથી મળતા. ચાર-ચાર લગ્ન થાય, દીકરીને દીકરાની બરાબરનો મિલકતમાં હક ન મળે. ત્રણ તલાકનો મુદ્દો છે. આવી ઘણી બાબતોમાં મહિલાઓનું શોષણ થાય છે. આવી વાતો જ્યારે મારી સામે આવે ત્યારે મને લાગે છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ બને એટલું ઝડપી લાગુ કરે. જેથી બધાને સમાનતાનો અધિકાર મળે.મેં આ સંદર્ભમાં જ વાત કરી હતી. પરંતુ મારા વિરુદ્ધ કાવતરા થયા. જો કે સત્ય પરેશાન થઈ શકે છે પરાજીત ન થાય. હું હિન્દુ મહિલાઓ માટે કામ કરુ છું, મુસ્લિમ મહિલાઓ માટે પણ કરીશ.’
ઉનામાં શાંતિ જળવાઈ રહે તે માટે બેઠક બોલાવવામાં આવી હતી.
કાજલે કેમ કહ્યું કે, ‘મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે’
પહેલાં સોશિયલ મીડિયા અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં સ્ટેજ પરથી આક્રમક ભાષણ આપીને ફાયર બ્રાન્ડ નેતાની છાપ ઉભી કરનાર કાજલ પટેલ પર એક તરફ બે સમુદાય વચ્ચે ખટરાગ ઉભો કરવાના આરોપ છે, તો બીજી તરફ કાજલ કહે છે કે, હું હિન્દુ સમાજની દીકરી છું. ક્યારેય કોઈના પર હુમલો ન કરી શકું. જો હિન્દુ સમાજનું રક્ષણ કરવું, એ કોઈને ગુનો લાગતો હોય તો એને લાગે. મને ખબર છે કે મને ન્યાય મળશે કેમ કે મેં ક્યારેય જીવનમાં ખોટા કામ કર્યા નથી. ગુજરાતમાં કચ્છ, દ્વારકા, સોમનાથ, ધોરાજી જેવી અનેક જગ્યાએ ખોટી રીતે જમીન પર દબાણો થયેલા છે. સુરતમાં તો આખી ઐતિહાસિક નગરપાલિકા પર કબજો કરી લેવામાં આવ્યો. આ વિષય પર હું જાગૃતિ લાવું છું, તો કોઈને પેટમાં દુ:ખે પણ ખરું. એટલે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.’
બુરખાના વિરોધ મુદ્દે કાજલે શું કહ્યું?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કાજલ હિન્દુસ્થાનીએ કહ્યું કે, ‘જે પણ વસ્તુ નિયમ બનાવીને બળજબરી-પૂર્વક કોઈના પર થોપી દેવામાં આવે તો હું વિરોધ કરું છું. એટલે જ મેં યુનિફોર્મ સિવિલ કોડની માગ કરી છે. જ્યારે ઈરાન જેવા ઈસ્લામિક દેશમાં પણ હિજાબનો વિરોધ થયો હોય, લોકો આંદોલન કરે છે, ત્યારે આપણે તો લોકશાહી દેશ છીએ. એટલે કોઈ પુરુષને અધિકારી નથી કે કોઈપણ મહિલાએ શું પહેરવું?, શું ન પહેરવું?, ઘરમાંથી નિકળવું કે નહીં, તે અંગે દબાણ કરી શકે.
ધમકીભર્યા કોલ અને મેસેજ મુદ્દે કાજલ હિન્દુસ્થાનીનું બેફામ નિવેદન
કાજલે જણાવ્યું કે, ‘જે પણ જેહાદી માનસિકતાના લોકો આપણા દેશમાં રહે છે, જે શ્રદ્ધા જેવી દીકરીના 35 કટકા કરે, કિશન ભરવાડની હત્યા કરે એવી જેહાદી માનસિકતાના લોકો આવી ધમકી આપે છે. મને અઢળક ફોન કોલ અને સોશિયલ મીડિયાથી ધમકી મળે છે.’ કાજલે એ પણ દાવો કર્યો કે તેમને ભારત બહાર અન્ય દેશોથી પણ વિવિધ પ્રકારે આવી ધમકી મળતી હોય છે.
લવ જેહાદ અને ધર્માંતરણ બાબતે કેવા કિસ્સાને કાજલે યાદ કર્યા?
કાજલ હિન્દુસ્થાનીના મોટાભાગના ભાષણોમાં લવ જેહાદ અને ધર્માંતરણની બાબતોનો ઉલ્લેખ થતો જ હોય છે. કાજલ આ બધા મુદ્દે સમાજમાં જાગૃતી લાવવાનો દાવો કરે છે, એટલે કે ધાર્મિક કટ્ટરતાના મુદ્દા કાજલની ઓળખ બની ચુક્યા છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સમયે પણ કાજલ હિન્દુસ્થાનીએ કહ્યું, ‘કેટલાક કિસ્સામાં છોકરીઓ ડ્રગ્સના નશાના રવાડે ચડીને પણ લવ જેહાદના કેસમાં ફસાતી હોવાનું સામે આવ્યું છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI)ને ભારત સરકારે પ્રતિબંધિત કર્યો છે, જેનું ઘોષણા પત્ર હતું કે, 2047 સુધી ભારતને ઈસ્લામિક દેશ બનાવવો છે. એટલે લવ જેહાદ કરો, ધર્માંતરણ કરો અને જમીન પર અતિક્રમણ કરો. આવો જ એજન્ડા ગઝવા-એ-હિન્દનો પણ હતો.’
કાજલે આ જ મુદ્દે વધુ સ્ફોટક દાવા કરતા કહ્યું, ‘કેટલાક એવા પણ કિસ્સા સામે આવ્યા છે, જ્યારે આરોપી પોતાની ઉંમર 15-16 વર્ષની બતાવીને દીકરીઓ સાથે ચેટિંગ કરતા હોય છે. લવ જેહાદના કિસ્સામાં જે છોકરીની ઉંમર 18 વર્ષની આસપાસ હોય તે જો લગ્ન ન કરે તો ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે. આવા સમયે છોકરી લગ્ન માટે તૈયાર થાય તો તેનું ધર્માંતરણ કરવામાં આવે છે.’
કાજલે પૂનાની એક ઘટના અંગે દાવો કર્યો કે, ‘પૂનામાં એક 14 વર્ષની છોકરી ઈન્સ્ટાગ્રામ મારફતે છોકરાના સંપર્કમાં આવી હતી. છોકરો ઉંમરમાં ખૂબ મોટો હતો. થોડા દિવસ બાદ છોકરીને મળવા માટે પૂના રેલવે સ્ટેશન બોલાવી. ત્યાર બાદ છોકરાએ ફોન કર્યો કે, હું કોઈ કારણસર નહીં આવી શકું પરંતુ મારા એક મિત્રને તને લેવા માટે મોકલ્યો છે. છોકરી પેલા વ્યક્તિ સાથે રિક્ષામાં બેસીને જતી રહી. એ છોકરી સાથે 3 દિવસ સુધી 13 લોકોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.’
અન્ય એક ઘટનાને યાદ કરતા કાજલે જણાવ્યું, ‘સુરતમાં રહેતી એક યુવતીએ ઉમરગામના અન્ય સમુદાયના યુવાન સાથે લગ્ન કર્યા હતા. તેણે બે દીકરીઓને જન્મ પણ આપ્યો હતો. એ યુવાને પહેલા પણ અન્ય એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. હવે તેણે પોતાની બીજી પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું, અમે આ યુવતીના “રેસ્ક્યૂ” માટે પણ ગયા હતા. પરંતુ એ સમયે પરિવારે ઘર છોડી દીધું હતું.’
‘એ કિસ્સામાં પણ ખેડૂતની દીકરી સોશિયલ મીડિયાથી છોકરાના સંપર્કમાં આવી હતી. તેનો પ્રેમી અગાઉ લગ્ન કરી ચુક્યો હોવાનો પણ યુવતીને ખ્યાલ ન હતો. આ કેસમાં અત્યારે તપાસ ચાલી રહી છે, એટલે હું વધારે માહિતી નહીં આપી શકું. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે પીડિત યુવતી હાલ વિરમગામમાં નથી.’
રાજકારણમાં જોડાવવા અંગે કાજલ હિન્દુસ્થાનીનો શું વિચાર છે?
દિવ્ય ભાસ્કરે જ્યારે રાજકારણમાં જોડાવવા અંગે કાજલ હિન્દુસ્થાનીને સવાલ કર્યો તો તેમના ચહેરાના ભાવ બદલાઈ ગયા અને હસતા-હસતા કહ્યું, ‘આ ખૂબ ઈરિલિવન્ટ પ્રશ્ન છે, આ પ્રશ્ન એવા લોકોને કરવા જોઈએ જેના ઘરના વડીલ રાજકારણમાં હોય. જ્યાં સુધી મારો પ્રશ્ન છે, તો શું રાજકારણમાં આવવા માટે કોઈ માતા પોતાના બાળકોનું જીવન જોખમમાં નાખશે? મારી 15 વર્ષની દીકરીને સામુહિક દુષ્કર્મની ધમકી મળે છે. મારા પતિને મોબ લિન્ચિંગની ધમકી મળે છે. તો શું તમને લાગે છે કે રાજકારણમાં આવવા માટે કોઈ આવો વિકલ્પ અપનાવે?, રાજકારણમાં આવવા માટેના બીજા ઘણા રસ્તા છે. કોઈને પણ દેશની સેવા કરવી હોય તો રાજકારણમાં આવવું એ જરૂરી નથી. દેશના કોઈપણ ખૂણામાં કરીને દેશસેવાનું કામ કરી શકે છે.’
પોલીસ ફરિયાદ બાદ કાજલ હિન્દુસ્થાનીની ધરપકડ કરવામાં આવી હતી.
શું ઉનાના કેસમાં કાજલ હિન્દુસ્થાની રાજકારણનો ભોગ બન્યા?
દિવ્ય ભાસ્કરે કરેલા આ સવાલ મુદ્દે કાજલે ખૂબ જ ચીવટપૂર્વક જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘એ બાબતે તો હું કાંઈ ન કહી શકું, જેહાદીઓએ આ બધું કર્યું અને મારા પર કેસ થયો. હવે ન્યાય માટે લડીશ. અમે તો સીધા, સાદા, ભોળા લોકો છીએ. અમે સમાજ અને ધર્મનું કામ કરીએ. હું તો પીડિત છું, હિન્દુ મહિલા છું, એટલે રાજકારણ તો મારી ક્ષમતાનું કામ નથી, જેથી આ બધુ મારા મગજમાં આવે પણ નહીં. મને આવી બાબતોમાં કાંઈ ખબર ન પડે. મને બંધારણમાં વિશ્વાસ છે, મારી જરૂરથી જીત થશે.’
કાજલે કહ્યું, ‘મેં આ કારણે ભાજપના સમર્થનમાં પ્રચાર કર્યો હતો’
કાજલ હિન્દુસ્થાનીએ પોતાની વેબસાઈટ પર તેમના કામકાજ અંગે ઘણી વિસ્તૃત જાણકારી આપી છે. જેમાં સૌથી નોંધનિય બાબત એ છે કે, કાજલે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ સાથે જ તેઓ રાજસ્થાનના કોટા લોકસભા વિસ્તારમાં ઓમ બિરલા માટે પ્રચાર કરવા ગયા હતા. ઓમ બિરલા ચૂંટણી જીત્યા અને લોકસભા સ્પીકર બન્યાં. દિવ્ય ભાસ્કરે જ્યારે આ મુદ્દે સવાલ કર્યો તો કાજલે જણાવ્યું કે,’વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, હિમંતા બિસ્વા રસમા, આ બધા એવા નેતા છે, જે ખૂબ સારુ કામ કરી રહ્યા છે. 8 વર્ષમાં દેશનું અર્થતંત્ર વિશ્વમાં 5મા ક્રમે આવી ગયું. એટલે વિકાસ ઘણો થયો છે. કાશી વિશ્વનાથ, મહાકાલ, વૈષ્ણોદેવી મંદિર, પાવાગઢમાં મંદિરોમાં વિકાસકાર્યો થયા, દ્વારકામાં દબાણ હટાવ્યા, એટલે આ સરકારે આવું બધુ કામ કર્યું છે. જે લોકો મને સારા લાગે તેમને હું સમર્થન કરું છું. આ બાબતે હું નથી જોતી કે આવા નેતા ભાજપના છે કે અન્ય પાર્ટીના. હું રાજકીય વ્યક્તિ નથી.’
રાહુલ ગાંધીની રાજકીય છવી મુદ્દે કાજલ હિન્દુસ્થાનીએ કહ્યું, ‘રાહુલ ગાંધી તો બાળક છે, તેમને ગંભીરતાથી ન લેવા જોઈએ. તેમને હેરાન ન કરો.’
કાજલ હિન્દુસ્થાની પર થયેલી કાયદાકીય કાર્યવાહી બાદ કેટલાક લોકો કાજલના સમર્થનમાં આવ્યા હતા.
દેશને હિન્દુરાષ્ટ્ર જાહેર કરવા બાબતે કાજલ હિન્દુસ્થાનીએ કેવા તર્ક આપ્યા?
કાજલ હિન્દુસ્થાનીની વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે તે વર્ષ 2018થી દર વર્ષે અમેરિકામાં ભાષણ આપવા માટે જાય છે. જ્યાં તે ભારત અને હિન્દુ સંસ્કૃતિની વાત લોકો સમક્ષ કરે છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા મુદ્દે કાજલે કહ્યું, ‘જ્યાં પણ હિન્દુ બહુમતીમાં છે જ્યાં હિન્દુઓએ પોતાનો ઝંડો ગાડી દીધો છે. અમેરિકા જેવા દેશોમાં હોટેલ-મોટેલનો બિઝનેસ, મોટી કંપનીમાં મોટા પદે ભારતીયો છે. ભારત આખા વિશ્વમાં IT એટલે કે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી વેચે છે, જ્યારે પાકિસ્તાન જેવા દેશના લોકો IT એટલે ઇન્ટરનેશનલ ટૅરરિઝમ ફેલાવે છે. એટલે હિન્દુ રાષ્ટ્ર મામલે પાકિસ્તાન સાથેની તુલના ખોટી છે. ભારત આજે અડીખમ એટલે જ ઊભું છે કારણકે અહીંયાં હિન્દુઓની સંખ્યા વધારે છે. કાશ્મીર, બંગાળ, કેરળમાં હિન્દુઓની દશા કેવી છે એ આપણે જોઈ. હિન્દુ ધર્મગ્રંથોમાં ધર્માંતરણનો ઉલ્લેખ જ નથી. એટલે માણસ જેવો છે, એવો જ તેને સ્વિકારી લેવાનો હોય. વસુધૈવ કુટુંબકમની વાતો આપણે કરીએ છીએ. કારણકે બહુસંખ્યક હિન્દુઓનો આ દેશ છે. પાકિસ્તાન અને આપણામાં જમીન-આસમાનનો ફરક છે. આપણા છોકરાને એક ટી-શર્ટ આપીને કહો કે, કાતરથી 35 કટકા કર, તો એ નહીં કરી શકે. જ્યારે બીજી તરફ માથુ ધડથી અલગ કરી દેવાની વાતો થાય છે.’
કાજલ હિન્દુસ્થાનીનું આગામી સમયમાં શું આયોજન છે?
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કાજલે કહ્યું કે, ‘હું જે કામ કરું છું, એ માટે વિશ્વ હિન્દુ પરિષદ કે પછી બીજા કોઈ હિન્દુ સંગઠનમાં જોડાવવાની જરૂર નથી. જે વ્યક્તિ હિન્દુત્વનું કામ કરે છે, એ હિન્દુ સંગઠનનો જ વ્યક્તિ છે. હું પહેલા જે રીતે કામ કરતી હતી, એ રીતે કરતી રહીશ. મારાથી કોઈ પ્લાનિંગ થતું નથી.’