મુંબઈ16 દિવસ પહેલા
- લિંક કૉપિ કરો

મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં કોરોનાના વધતા જતા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જ્યાં મહારાષ્ટ્રમાં 1,045 નવા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, ત્યાં માત્ર મુંબઈમાં 704 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે, તેમાંથી 671માં રોગના કોઈ લક્ષણો નથી. તેઓને હાલ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના રોજ જો કેસ વધશે તો આગામી સમયમાં કડક નિયંત્રણોનો સંકેત પણ આપ્યો છે.
સીએમએ કહ્યું, ‘કેટલાક દિવસોથી કોવિડના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી 15 દિવસ પર ચાંપતી નજર રાખશે. જો પ્રતિબંધો ન જોઈતા હોય, તો કોવિડના તમામ નિયમોનું પાલન કરો અને રસી લો. આજે મુખ્યમંત્રીએ કોવિડ ટાસ્ક ફોર્સની ટીમ સાથે બેઠક પણ કરી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં છેલ્લા દોઢ મહિનામાં એક્ટિવ કેસમાં 7 ગણો વધારો થયો છે.

કોરોનાના વધતા જતા કેસો બાદ મુંબઈમાં ફરીથી જાહેર સ્થળોએ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.
મુંબઈમાં મહારાષ્ટ્રના 64% કોરોના દર્દીઓ
1 મેના રોજ મહારાષ્ટ્રમાં 169 કોવિડ-19 કેસ નોંધાયા હતા, જે વધીને 31 મેના રોજ 711 થઈ ગયા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, મે મહિનામાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કુલ 9 હજાર 354 કેસમાંથી 5 હજાર 980 કેસ એકલા મુંબઈના હતા, લગભગ 64%. આ પછી BMCએ તેની ટેસ્ટિંગ ક્ષમતા પ્રતિ દિવસ 8 હજારથી વધારીને 25 હજાર કરી દીધી છે. ઘણા સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ પણ કરવામાં આવી છે, પરિણામ આવ્યા બાદ કેસોમાં અચાનક વધારો થવા પાછળનું કારણ સ્પષ્ટ થશે.

પોતાના કર્મચારીઓને એલર્ટ પર રાખીને BMCએ ટેસ્ટિંગમાં ત્રણ ગણો વધારો કર્યો છે.
17 દિવસ પછી મુંબઈમાં એક સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થયું
BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે પ્રથમ અને બીજા તરંગથી બોધપાઠ લઈને અમે તોળાઈ રહેલા ખતરાનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જણાવી દઈએ કે કોવિડની પહેલી લહેર માર્ચ 2020માં આવી હતી અને બીજી જાન્યુઆરી 2021માં જોવા મળી હતી. મુંબઈમાં 17 દિવસ બાદ ગુરુવારે એક મહિલાનું કોરોના સંક્રમણથી મોત થયું હતું. ખાસ વાત એ છે કે મહિલાની ઉંમર 40 વર્ષથી ઓછી હતી. એક નવા મૃત્યુ સાથે, મૃત્યુઆંક વધીને 19,567 થયો છે. એક દિવસ અગાઉ, શહેરમાં 739 નવા કેસ જોવા મળ્યા હતા, જે 4 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે, પરંતુ કોઈ મૃત્યુ નોંધાયા નથી.
મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં 7 ગણો વધારો થયો છે
આરોગ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં રાજ્યમાં સક્રિય કેસ સાત ગણો વધ્યા છે. 16 એપ્રિલે 626 એક્ટિવ કેસ હતા અને ગુરુવારે આ આંકડો 4,500 પર પહોંચ્યો હતો. એક વિશ્લેષણ દર્શાવે છે કે 97% નવા કેસ મુંબઈ અને તેની આસપાસના શહેરી કેન્દ્રો જેવા કે થાણે, નવી મુંબઈ અને પુણેમાંથી નોંધાઈ રહ્યા છે. આમાંનો સૌથી મોટો હિસ્સો મુંબઈનો છે જ્યાં સકારાત્મકતા દર 6% છે, જે રાજ્યની સરેરાશ કરતાં બમણો છે. મુંબઈમાં હવે 3,324 સક્રિય કોવિડ -19 કેસ છે. બુધવારે મુંબઈમાં 2,970 સક્રિય કેસ નોંધાયા હતા.