- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- સુરતમાં, માઇન્ડ બુદ્ધિની મહિલા 20 વર્ષ પછી તેના પરિવાર સાથે ફરી મળી, તેની ત્રણ મહિનાની પુત્રી, પાછળ રહી ગઈ, ઉંમર થઈ ગઈ.
સુરતએક કલાક પહેલા
દર રક્ષાબંધન સમયે મારે ભાઈના ઘરે જવું છે કહેતાં માનસિક દિવ્યાંગ મહિલાની ઈચ્છા પૂરી થઈ છે. માનસિક દિવ્યાંગ હોવા છતાં પણ પોતાના પરિવારને મળવાની તેમની ઈચ્છા 20 વર્ષે પૂર્ણ થઈ હતી. 20 વર્ષ પહેલાં પોતાના પરિવારને મૂકીને તેઓ ગુમ થયાં હતાં. તેઓ સતત યાદ કર્યા કરતાં પરંતુ તે પરિવાર સુધી પહોંચી શકતાં ન હતાં. માનસિક દિવ્યાંગ હોવાને કારણે તેઓ તેમના ગામ વિશે અને પરિવાર વિશે માહિતી પણ આપી શકતાં ન હતાં. તેઓ કેટલાક ગામોના નામ સતત બોલતાં રહેતાં પરંતુ તે ગામમાં તપાસ કર્યા બાદ પણ તેમના કોઈ સંબંધી મળતા ન હતા.
વર્ષોથી કવિઠા ગામનું નામ લેતાં પણ ગામ ન શોધી શક્યા
પતિત-પાવન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ ડાખરાએ જણાવ્યું હતું કે, ચકુબેન હળપતિ બસ એકને એક વાત સતત બોલતાં રહેતાં હતાં. રક્ષાબંધન વખતે મારે મારા ભાઈ પાસે જવું છે. ઘણી વખત તેઓ રડી પડતાં હતાં અને એમને પૂછવામાં આવતું ત્યારે તે પોતાનું ગામ કવિઠા જેવું બોલતા હતા. અમે છેલ્લા ઘણા વર્ષોથી એ ગામની અંદર અમારા સ્વયંસેવકો થકી અને અમે પણ પ્રયાસો કરતા કે ત્યાં પહોંચી જતાં અને કવિઠા જેવા જે નામો હોય તે ગામોની અંદર તપાસ કરતા પરંતુ અત્યાર સુધી તેમના કોઈ પરિવારના લોકો મળી આવ્યા ન હતા.
વ્યારા-અનુમાલા રોડ પરના અવાવરું જગ્યાએ ચકુબેન મળ્યાં
ચકુબેન પેલી મે 2002ના દિવસે અમને મળ્યાં હતાં. વ્યારાથી અનુમાલા જતાં રસ્તા ઉપર તે અવાવરું જગ્યા ઉપર પડ્યાં હતાં, ત્યાં ઢાબો ચલાવતી એક મહિલા અમારા પહેલાથી જ કોન્ટેકમાં હતી. તેના દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે, એક યુવતી અહીં માનસિક દિવ્યાંગ છે. જે ખૂબ ખરાબ અને દયનીય સ્થિતિમાં છે. અમને જાણ થતાંની સાથે જ અમે ત્યાં પહોંચ્યા હતા અને ચકુબેનને ત્યાંથી લઈ આવ્યા હતા. છેલ્લા 20 વર્ષથી તેઓ અમારી સાથે રહે છે. તેઓની માનસિક સ્થિતિ સારી ન હતી અને શારીરિક રીતે પણ ખૂબ જ નબળા હતાં. પરંતુ અહીં સારવાર પણ આપવામાં આવતી હતી, તેના કારણે છેલ્લા પાંચેક વર્ષથી તેમની દવા પણ બંધ હતી અને તેમની તંદુરસ્તી પણ સારી થઈ ગઈ હતી.
નાનાં-નાના બાળકોને મૂકીને ગાયબ થયાં હતાં
ચકુબેન પોતાના ચાર વર્ષના અને ત્રણ વર્ષના દીકરાને મૂકીને ગૂમ થઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ તેમની માત્ર બે-ત્રણ માસની દીકરીને પણ તેઓ મૂકીને ગૂમ થયાં હતાં. ચકુબેન એમના પુત્ર અને દીકરીને યાદ કરતા અને વિશેષ કરીને તે તેમના ભાઈ-ભાભીને પણ ખૂબ યાદ કરતા હતા. પરંતુ તેઓ યોગ્ય નામ બોલી શકતા ન હોવાને કારણે અમને પણ ખૂબ મુશ્કેલી ઊભી થતી હતી. તેમના પરિવારના સભ્યોને શોધવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી.
ગૂગલમાં પણ કવિઠા ગામ મળતું ન હતું
ચકુબેન છેલ્લા થોડા દિવસોથી પોતાને ખૂબ જ સ્વસ્થ અનુભવતા હતા. પતિત-પાવન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ ડાખરા જ્યારે પણ બહાર જતા હતા. ત્યારે તે તેમની સાથે બહાર જવા માટે જીદ કરતાં હતાં. ચકુબેન જ્યારે પોતાના ગામનું નામ કવિઠા બોલતા ત્યારે અમે ગૂગલ મેપ ઉપર તેને સતત શોધતા રહેતા હતા. પરંતુ ગૂગલ મેપ ઉપર કોઈ પત્તો મળતો ન હતો. છતાં પણ આવા નામના જે પણ ગામ હોય તે પહોંચવાનો પ્રયાસ કરતા છેલ્લા ઘણા સમય પહેલા તારાપુર ચોકડી પાસેનું એક ગામ છે. ત્યાં પણ અમે ગયા હતા, મહુવા પાસેનું જે એક ગામ છે. ત્યાં પણ અમે ગયા હતા પરંતુ તેમના સંબંધો વિશે કોઈ માહિતી મળી ન હતી.
ટ્રસ્ટ સાથે સંકળાયેલી એક દીકરીએ ગામની ભાળ મેળવી
અમારા ટ્રસ્ટ સાથે જોડાયેલી એક દીકરીનો ફોન આવ્યો હતો કે, તમે જે ગામ શોધી રહ્યા છો તેવું જ એક ગામ સુરત જિલ્લાના મહુવા નજીક છે. કવિઠા નામનું ગામ છે, જે ગૂગલ મેપ ઉપર પણ નથી. જેથી આ ગામમાં તમે જઈ શકો છો. અમે તે ગામમાં તપાસ કરતા તેમની દેરાણી અને તેમના પરિવાર વિશે માહિતી મળી ગઈ હતી અને તેમણે સ્વીકાર્યું હતું કે, અમારા ત્યાંથી એક યુવતી વર્ષો પહેલા ગુમ થઈ ગઈ હતી અને જ્યારે તેમને અમે અહીં લાવ્યા ત્યારે તેઓ અહીં ચકુબેનને જોઈને ઓળખી ગયા હતા.
સંતાનો 20-25 વર્ષના થઈ ગયાં
વર્ષો પછી પોતાની માતાને સંતાનો એ નજર સામે જોઈ રહ્યા હતાં, પરંતુ મહત્વની વાત એ હતી કે તેઓ ત્યારે એટલા નાના હતા કે તેમને માતાને ઓળખી પણ નહોતા શકતા. તેઓ જ્યારે ગૂમ થયા હતા, ત્યારે તેમની દીકરી માત્ર ત્રણ મહિનાની હતી. તેમનો એક પુત્ર ચાર વર્ષનો અને બીજો પુત્ર ત્રણ વર્ષનો હતો. આજે દીકરો 25 વર્ષનો હતો અને દીકરી 20 વર્ષની હતી, પરંતુ તેઓ પોતાની માતાને ઓળખી શક્યા નહીં. માતા ચકુબેનની ઓળખ તેમના ભાઈએ કરી લીધી હતી અને તેમના દેરાણી પણ તેમને ઓળખી ગયા હતા.
ચકુબેનની 20 વર્ષ સુધી સારસંભાળ રખાઈ
પતિત-પાવન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક પરેશ દાખરાએ જણાવ્યું હતું કે, ચકુબેન 20 વર્ષ પહેલા અમને મળ્યા હતા. ત્યારથી અમે તેમની સાર-સંભાળ રાખતાં હતાં. તેઓ માનસિક દિવ્યાંગ હોવાને કારણે કોઈ જ માહિતી આપી શકતા ન હતાં. છતાં અમે અમારા પ્રયાસો સતત ચાલુ રાખ્યા હતા. અંતે ઈશ્વર કૃપા થઈ અને 20 વર્ષ બાદ બાળકોને તેમની માતા મળી, એનો અમને ખૂબ જ હર્ષ છે. એનાથી પણ વિશેષ વાત એ છે કે, ચકુબેન માનસિક રીતે પણ થોડા સ્વસ્થ થઈ ગયા છે અને શારીરિક રીતે પણ તેમની સ્થિતિ ખૂબ જ સારી છે.
દીકરો પણ માતાના આવવાથી ગદગદિત
પુત્ર રાહુલ હળપતિએ જણાવ્યું કે, અમને પણ આશ્ચર્ય છે કે અમારી માતા અમને 20 વર્ષ પછી મળી છે. સાચી વાત તો એ છે કે અમે અમારી માતાને ઓળખતા નથી. ખૂબ નાની વયના હતા. ત્યારે અમારી માતા અમારાથી વિખૂટી થઈ ગઈ હતી. જેને કારણે અમે તો એને સ્પષ્ટ રીતે ઓળખી શકતા નથી, પરંતુ જે રીતે અમારા મામા અને અમારા પરિવારના સભ્યો કહી રહ્યા છે કે, આ જ અમારી માતા છે તે શબ્દ સાંભળીને પણ અમે ખૂબ જ આનંદિત થયા છે. અમે સહર્ષ અમારી વર્ષોથી વિખૂટી પડી ગયેલી માતાને સ્વીકારી રહ્યા છે અને જીવનમાં હવે પછી અમે તેને એક પણ દિવસ માટે અલગ ના રહેવા દઈએ. ઘણી વખત તો અમારી માતાને લઈને અનેક વિચારો આવતા રહેતા હતા. અમારી માતા કેવી સ્થિતિમાં હશે? ક્યાં હશે? એ જીવિત હશે કે કેમ? એવો પણ વિચાર આવતો હતો. પરંતુ કદાચ અમને અમારી માતાનો પ્રેમ મળવાનો હશે અને તેના કારણે જ ભગવાને અમારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે.