
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનોને કારણે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે એક ખાનગી કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે હું રાજકારણ ક્યારે છોડું અને ક્યારે નહીં તેની અસમંજસમાં છું, કારણ કે જીવનમાં રાજકારણ સિવાય એવી ચીજો છે જે કરવા લાયક છે. આ સાથે રાજકારણ શું છે તે પણ સમજવાની જરૂર છે. જો ધ્યાનથી જોવામાં આવે તો રાજકારણ સમાજ માટે છે. સમાજના વિકાસ માટે છે, પરંતુ આજની તારીખમાં રાજકારણ 100 ટકા સત્તા નીતિ બનીને રહી ગઈ છે. ક્યારેક ક્યારેક મને એવું લાગે કે હું રાજકારણને અલવિદા કહી દઉં.
કેટલાક સમય પહેલા તેમણે કહ્યું હતું કે જે મુખ્ય પ્રધાન બને તેઓ એ માટે પરેશાન રહે છે તેમને સત્તા પરથી હટાવવામાં ન આવે. દરેક લોકોની સમસ્યા છે અને બધા જ દુખી છે. વિધાનસભ્ય એટલા માટે દુખી છે તેઓ પ્રધાન ન બની શક્યા, પ્રધાન એટલા માટે દુખી છે કે તેમને મનગમતા વિભાગ ન મળી શક્યા. સારા વિભાગવાળા એટલા માટે દુખી છે કે તેઓ મુખ્ય પ્રધાન ન બની શક્યા.