
પંજાબ સરકારે રાજ્યના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું જાહેરનામું બહાર પાડ્યું છે . પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, પછાત જાતિ, અનુસૂચિત જાતિ, ગરીબી રેખા નીચે જીવતા લોકો અને સ્વતંત્રતા સેનાનીઓ સાથે તેમના વારસદારો એટલે કે પૌત્ર-પૌત્રીઓ સુધીના ગ્રાહકોને 300 યુનિટ સુધીની મફત વીજળીનો લાભ મળે છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ સરકારે 1 જુલાઈથી દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી.
આ સ્કીમ મુજબ, બે મહિનામાં 600 યુનિટથી વધુ વપરાશના કિસ્સામાં, સંપૂર્ણ વીજળીનું બિલ ચૂકવવું પડશે એટલે કે કોઈ છૂટ મળશે નહીં. જો વીજ વપરાશ 600 યુનિટની અંદર રહેશે તો નાગરિકોને મુક્તિનો સંપૂર્ણ લાભ મળશે. જોકે, અનુસૂચિત જાતિ, પછાત જાતિ, ગરીબી રેખા નીચે અને સ્વતંત્રતા સેનાનીની શ્રેણીના ગ્રાહકોએ બે મહિનામાં 600 યુનિટથી વધુ વીજળીના વપરાશ માટે ચાર્જ ચૂકવવો પડશે, અન્યથા નહીં. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં મુક્તિ મેળવવા માટે, આ ચાર કેટેગરીના લોકોએ ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ ભરવું પડશે.
‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ મુજબ ગ્રાહકે જણાવવાનું હોય છે કે તે અને તેના પરિવારના કોઈપણ સભ્ય હાલમાં કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા નથી અને ભૂતકાળમાં પણ ક્યારેય નહોતા ધરાવતા. આ ફોર્મ એવા ગ્રાહકો દ્વારા ભરવામાં આવશે જેઓ મંત્રી નથી અને ભૂતકાળમાં ક્યારેય મંત્રી નથી બન્યા. આ સિવાય આવા ગ્રાહકોના પરિવારનો કોઈ સભ્ય પણ મંત્રી કે પૂર્વ મંત્રી ન હોવો જોઈએ. આ ફોર્મ એવા લોકો પણ ભરી શકે છે જેઓ લોકસભા, રાજ્યસભા, વિધાનસભાનો સભ્ય અથવા મેયર અને ભૂતપૂર્વ મેયર ન હોય.