
પશ્ચિમ બંગાળના કેબિનેટ પ્રધાન પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર ફરી એક વાર આમને સામને આવી ગઈ છે. પાર્થ ચેટર્જીને બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવતા ઈડીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેનો વિરોધ કરતાં ઈડીએ કોલકાતા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેની સુનાવણી આજે એટલે કે રવિવારે થઈ હતી. આ સાથે ઈડીએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં પાર્થ ચેટર્જી ડોન જેવું વર્તન કરે છે અને પુછપરછમાં સહયોગ આપી રહ્યા નથી.
ઈડી તરફથી એએસજી એસવી રાજૂએ જણાવ્યું હતું કે આ મામલો ટીચર ભર્તી કૌભાંડ સાથે જોડાયેલો હોવાથી રવિવાર હોવા છતાં કોર્ટમાં અપીલ કરવી પડી હતી. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન 21 કરોડની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત પાર્થ ચેટર્જી સાથે તેમની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. બંગાળની બીજી કોર્ટે આજે અર્પિતાને એક દિવસ ઈડી કસ્ટડીમાં મોકલી છે. પાર્થ ચેટર્જીની પણ બે દિવસની જ કસ્ટડી મળી છે. આવી સ્થિતિમાં હોલ્પિટલમાં ઈલાજ થાય ત્યાં સુધી કસ્ટડીના દિવસો ગણવામાં ન આવે. જો પાર્થ ઈચ્છે તો ઈલાજ માટે દિલ્હી અથવા કલ્યાણીના AIIMS ભરતી થઈ શકે છે.
ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે પુરછપરછ દરમિયાન આરોપીના વકીલ પણ સાથે હોય છે. ઈડીને જાણ કર્યા વિના પાર્થને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પાર્થ હોસ્પિટલમાં ડોન જેવો વ્યવહાર કરી રહ્યા છે. તેઓ ઈડીના અધિકારીઓને અપશબ્દો બોલીને ધમકીઓ આપી રહ્યા છે. આ હાઈ લેવલનો કેસ છે, જોકે પાર્થે પોતાને એવી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે જ્યાં તેઓ રાજા છે. તેઓ બીમારીનું બહાનું બનાવી રહ્યા છે.