અમદાવાદ4 મિનિટ પહેલા
નમસ્કાર,
આજે ગુરુવાર, તારીખ 11 ઓગસ્ટ, શ્રાવણ સુદ પૂનમ(રક્ષા બંધન)
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
2) જગદિપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે, રાજ્યસભાના સભાપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતની બહેનોને અરવિંદ ‘ભાઈ’નો વાયદો, કેજરીવાલે કહ્યું, 18 વર્ષથી ઉપરની મહિલાઓને મહિને રૂ.1000 બેંક એકાઉન્ટમાં આપીશું
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં કહ્યું કે,આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.
2) તિરંગાયાત્રાની ભીડમાં ધક્કો વાગતાં હર્ષ સંઘવીએ વડોદરાના મેયરને કહ્યું: તું એક ફૂટ દૂર રહે ભાઈ; CM પણ જોતા રહી ગયા
વડોદરા શહેરમાં સોમવારે યોજાયેલી તિરંગાયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી મેયર પર ગુસ્સે થયા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. એમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયર કેયૂર રોકડિયાને કહ્યું હતું કે દૂર ઊભા રહો ભાઈ. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. વડોદરા શહેરમાં તિરંગાયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર
3) સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા 4 કિમી લાંબી તિરંગાયાત્રા, હર્ષ સંઘવી-પાટીલ સહિત 20 હજારથી વધુ લોકો જોડાયા, PM મોદીએ પ્રશંસા કરી
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ જતા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. 4 કિમી લાંબી તિરંગાયાત્રામાં 20 હજારથી વધુ લોકો જોડાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર
4)ગાંધીનગરનાં કુડાસણમાં મોટા ભાગનો પિત્ઝા ખાધા બાદ જીવાત નીકળી, યુવકની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની નિષ્ક્રિયતા વચ્ચે કુડાસણમાં આવેલી પિત્ઝા હટમાં ફ્રેન્ડશિપ ડેના દિવસે પિત્ઝા ખાવાનું બે મિત્રને ભારે પડી ગયું છે. બિનઆરોગ્યપ્રદ જીવાતવાળા પિત્ઝા ખાધા પછી અચાનક એક યુવાનની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે.
5) કોર્બેવેક્સના બૂસ્ટર ડોઝને મંજૂરી, દેશમાં પહેલી વખત અલગ વેક્સિનના બૂસ્ટર ડોઝને મંજૂરી
કેન્દ્ર સરકારે બુધવારે બોયોલિજકલ ઈ કંપનીની કોર્બેવેક્સ વેક્સિનને બૂસ્ટર ડોઝની જેમ ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનના ડોઝ જેમને લીધા હશે તેવા વયસ્ક બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકશે. એવું પહેલી વખત થયું છે, જ્યારે બૂસ્ટર ડોઝ માટે પહેલા આપવામાં આવેલી વેક્સિન સિવાય અન્ય કોઈ વેક્સિન દેશમાં આપવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર
6) બિહારમાં 8મી વખત નીતીશ સરકાર, નીતીશ મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા, તેજસ્વીએ નીતિશના ચરણસ્પર્શ
નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેના પછી તરત જ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. શપથ લેતાની સાથે જ તેજસ્વીએ નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
વાંચો સમાચાર વિગતવાર
7) નૂપુર શર્મા વિરૂદ્ધ દાખલ તમામ FIR દિલ્હી ટ્રાંસફર, SCએ કહ્યું- તમામ મામલાની તપાસ દિલ્હી પોલીસ કરશે, ત્યાં સુધી ધરપકડ પર રોક
મોહમ્મદ પયંગબર પર વિવાદિત નિવેદન આપ્યા બાદ મુશ્કેલીમાં આવેલી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસિટસ જેબી પારડીવાલાની સ્પેશિયલ બેંચે નૂપુર વિરૂદ્ધ તમામ કેસ દિલ્હી ટ્રાંસફર કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે હવે દિલ્હી પોલીસ જ આ તમામ કેસની તપાસ કરશે. અને જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી નૂપુરની ધરપકડ પર પણ રોક લગાડી દેવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કાશ્મીરી પંડિત રાહુલ ભટને મારનાર આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો, એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર થયા.
2) યુ યુ લલિત દેશના 49મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા. આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.
3) રાજકોટ CPનું જાહેરનામું, ‘ગણેશ મહોત્સવમાં 9 ફૂટથી ઊંચી મૂર્તિ અમાન્ય’, 11 ફૂટની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો અને આયોજકોમાં દુવિધા.
4) લમ્પીને લઇ ક્રિકેટર જાડેજા ગાયોની વહારે, ગુરુએ બતાવેલો ઉપચાર કરવા કહ્યું,’હળદર, સાકર, ઘી, કાળીમરીનો ભુક્કો કરી લાડુ બનાવી ખવડાવો’
5) સુરતમાં ‘તું અહીંનો દાદા કેમ થઈ ગયો છે’ કહીં માથાકૂટ થતા આરોપીએ નાકના ભાગે માર મારતા યુવકનું મોત.
આજનો ઈતિહાસ
વર્ષ 1908માં આજના દિવસે ભારતના મહાન સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝ દેશની આઝાદી માટે માત્ર 19 વર્ષની ઉંમરે ફાંસી પર ચડી ગયા હતા.
આજનો સુવિચાર
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ: રવીન્દ્રનાથ ટાગોર
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/morning-podcast-2021730-x-548new3_1660150472.jpg