સિવિલમાં 20 મહિનામાં 90 વ્યક્તિઓના અંગદાનથી 261 લોકોને મળ્યું નવજીવન

[og_img]

  • એક જ દિવસમાં બે અંગદાન થયાના 10 જેટલા કિસ્સા નોંધાયા
  • 26 મી ઓગસ્ટે 2 અંગદાનમાં 5 વ્યક્તિઓને નવજીવન
  • રીટ્રાઇવલથી પ્રત્યારોપણની જટીલ પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્ણ કામગીરીનું પરિણામ

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 20 મહિનામાં 90 વ્યક્તિઓના અંગદાન થી 261 લોકોને નવજીવન મળ્યું છે. ડિસેમ્બર 2020માં અંગોના રીટ્રાઇવલની મંજૂરી મળ્યા બાદ 26 મી ડિસેમ્બરે હોસ્પિટલમાં પ્રથમ વખત અંગદાન થયું હતુ. સપ્ટેમ્બર 2021 સુધીમાં ફક્ત 7 અંગદાનના કિસ્સા નોંધાયા હતા.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની ટીમના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલમાં ફક્ત 11 મહિનામાં 83 અંગદાન થયા છે. જે હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને ઇચ્છાશક્તિથી જનકલ્યાણનું જવલંત ઉદાહરણ છે. એક જ દિવસમાં બે અંગદાન થયાના સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા કિસ્સા નોંધાયા છે. અત્રે નોંધનીય છે કે, એક વ્યક્તિના અંગોના રીટ્રાઇવલમાં 5 થી 7 કલાક જેટલો સમય લાગતો હોય છે. અને એક અંગના ટ્રાન્સપ્લાન્ટમાં પણ 7 કલાક જેટલો સમય.

સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે થયેલ બે અંગદાનની વિગતો જોઇએ તો,મહિસાગર જિલ્લાના 37 વર્ષીય પરેશકુમાર ડામોરને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોના અંગદાનના નિર્ણયથી તેમની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

જ્યારે 90 માં અંગદાનની વિગતમાં અરવલ્લીના નટુભાઇ બરંડા કે જેઓની ઉમ્ર 52 વર્ષની હતી. તેમને માથાના ભાગમાં હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં 25મી ઓગસ્ટે સધન સારવારના અંતે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા તેમના પણ બે કિડનીનું સફળતાપૂર્ણ દાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી ડિસેમ્બર 2020 માં મળી હતી. સરકારી હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના આટલા ટૂંકા ગાળામાં 90 અંગદાન થકી 261 જેટલા લોકોને નવજીવન આપતી સંભવિત પ્રથમ હોસ્પિટલ છે.

સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે સંકળાયેલી ટીમ અને SOTTO(State Organ and Tissue Transplant Oranisation) ટીમના સુગમ્ય સમન્વય અને સધન કામગીરીના પરિણામે જ અંગદાન ક્ષેત્રે આ સિધ્ધી હાંસલ થઇ છે. જીવથી જીવ બચાવવાના આ સેવાયજ્ઞમાં અમારી હોસ્પિટલમાં તબીબો સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્ણ દિવસ- રાત કાર્યરત રહે છે. રીટ્રાઇવલ થી લઇ ટ્રાન્સપ્લાન્ટ સુધીની પ્રક્રિયા ખૂબ જ જટીલ અને સંવેદનશીલ છે. તદ્ઉપરાંત તબીબોની મહેનત રંગ લાવી છે અને આ પરિણામ મળ્યું છે.

Previous Post Next Post