રવિવારે 34 કેસમાંથી 26 પશ્ચિમ રાજકોટમાં નોંધાયા, 21434 લોકોએ દોઢ વર્ષ બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો! | Corona Rajkot LIVE: 1 August positive cases

રાજકોટ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં રવિવારે કોરોનાના નવા 34 કેસ આવ્યા છે. આથી સતત 3 દિવસ કેસ ઘટ્યા બાદ ફરી ઉછાળો દેખાયો છે. જ્યારે 26 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કર્યા છે. આથી એક્ટિવ કેસ વધીને 247 થયા છે અને કુલ પોઝિટિવનો આંક 64530 થયો છે. જે નવા કેસ આવ્યા છે તેમાં સૌથી વધુ 11 વોર્ડ નં. 8ના જ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાય છે, તેમાં વોર્ડ નં. 11 મોખરે હોય છે. હજુ પણ વેસ્ટ ઝોનમાં જ કેસ છે અને વોર્ડ નં. 10 અને 11 મોખરે છે. તેમાં પણ નાનામવા, નંદનવન અને શ્યામનગર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારોમાં વધુ છે. રવિવારે વેક્સિનેશન ચાલુ રાખતા દોઢ વર્ષ બાદ 21434 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

બુસ્ટર ડોઝ લેવામાં બુધવાર બાદનો સૌથી મોટો આંક
રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થતા જ બે દિવસમાં સ્ટોક ખાલી થઈ ગયો હતો. જથ્થો પૂર્વવત થયો પણ લાભાર્થીઓ નોંધાતા નહોતા. આ દરમિયાન 27મીએ બુધવારે 9514 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જે મહિનાનો સૌથી મોટો આંક છે. આટલા પ્રમાણમાં રસીકરણમાં વધારાનું કારણ જણાયું હતું કે, બુધવારે ઔદ્યોગિક વિસ્તારોમાં રજા હોય છે આથી રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રાખીએ તો તેમાં પણ વધારે લોકો આવી શકશે તેવો વિચાર આવતા મનપાએ રવિવારે પણ આરોગ્ય કેન્દ્રો ચાલુ રાખ્યા હતા અને ધાર્યું પરિણામ મળતા કુલ 9955નું રસીકરણ થયું હતું. જેમાંથી 8441 બુસ્ટર ડોઝ હતા.

21434 લોકોએ દોઢ વર્ષ બાદ આ મહિને લીધો પ્રથમ ડોઝ
રાજકોટ શહેરને જે ટાર્ગેટ અપાયો હતો તેના કરતા પણ વધારે રસીકરણ થયું છે. આમ છતાં હજુ પણ ઘણા લોકો રસી લેતા ખચકાય રહ્યા છે. જેને લઈને સામાજિક સંસ્થાઓ, તબીબો અને તંત્ર હજુ પણ સમજાવટ કરી રહ્યા છે અને વેક્સિનેશન શરૂ થયાને દોઢ વર્ષ બાદ 21434 લોકોએ જુલાઈ માસમાં પહેલો ડોઝ લીધો છે. જ્યારે 1.92 લાખ લોકો ત્રણેય ડોઝ લઈ ચૂક્યા છે. હજુ પણ અનેક લોકોએ પ્રથમ ડોઝ લીધો નથી તેઓને ડોઝ લેવા માટે હવે તંત્ર સમજાવશે.

શનિવારે 23 અને શુક્રવારે 29 કેસ નોંધાયા
શનિવારે શહેરમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દીએ કોરોના હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે કોરોનાના નવા 29 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં 10 વર્ષથી નાના 3 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 25 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજકોટ શહેરમાં તહેવાર નજીક આવી રહ્યા છે તે સમયે કેસની સંખ્યા વધીને 50 સુધી પહોંચી ગઈ હતી પણ ફરી કેસની સંખ્યા ઘટવા લાગી છે. તબીબો જણાવી રહ્યા છે કે, કોરોનાના કેસમાં ધીમો વધારો આવી રહ્યો છે પણ સતત કેસ વધ-ઘટ થતા હોવાથી લહેર આવશે કે નહીં તેનો અંદાજ હજુ લગાવી શકાય તેમ નથી.

ગુરૂવારે 43 કેસ આ વિસ્તારમાં નોંધાયા
રાજકોટ શહેરમાં ગુરુવારે નવા 43 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 36ને ડિસ્ચાર્જ કરાયા હતા. સતત ત્રીજા દિવસે ડિસ્ચાર્જ કરતા નવા કેસની સંખ્યા વધારે રહેતા એક્ટિવ કેસનો આંક પણ વધ્યો છે. શહેરમાં પત્રકાર સોસાયટી, મોમ્બાસા એવન્યુ, હસનવાડી, પંચનાથ પ્લોટ, વિજય પ્લોટ, રામનાથ પરા, ચંદ્રનગર, શાંતિનગર, મણી નગર, જ્યોતિ નગર,પૂજા પાર્ક, લક્ષ્મી પાર્ક, ધર્મરાજ પાર્ક, ગોલ્ડન પાર્ક, અમૃત પાર્ક,વિક્રાંતિ, શ્રી ગણેશ, સોમનાથ, ગોપાલ ચોક, ભવનાથ, હુડકો, રેવ હેવન, ઋષિકેશ એકસોટીકા, યોગી નિકેતન, સદગુરુ ટાવર, વિનોદ આવાસ, ધારેશ્વર, ગોલ્ડન નેસ્ટ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, શ્રોફ રોડ, કાલાવડ રોડ, આશાપુરા રોડ, દૂધ સાગર રોડ વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم