સિવિલમાં બે અંગદાન, 4 કિડની, 2 લીવરના દાનથી 6 દર્દીઓને નવજીવન મળ્યું

[og_img]

  • અંગદાનથી અજાણ પશુપાલક પુત્રોને તબીબોએ અંગદાનની સમજ અપાતા બ્રેઇનડેડ માતાના અંગોનું દાન કર્યું
  • કચ્છના ખમાબા જાડેજા અને જામનગરના શંકરભાઇ કટારાના અંગદાનથી પીડિત દર્દીઓનું જીવન બદલાયું
  • સિવિલમાં 20 મહિનામાં 88 અંગદાન થકી 277 અંગોનું દાન મળતાં 254 પીડિત વ્યક્તિઓની પીડા દૂર થઈ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન થી છ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. 22અને 23મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કરતા કુલ ચાર કિડની અને બે લીવરનું દાન મળ્યું છે. અંગદાનમાં મળેલી ચાર કિડની અને એક લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવી છે.જ્યારે એક લીવરને સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

અંગદાનથી અજાણ પશુપાલક પુત્રોએ માતાના અંગદાનનો નિર્ણય લીધો

કચ્છના પશુપાલક જાડેજા પરિવારજનોના કિસ્સામાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયા ગામમાં પશુપાલન સાથે જોડાયેલ જાડેજા પરિવારના પુત્રો અંગદાન કે પ્રત્યારોપણ વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હતું કે જોયું પણ ન હતું. 19 ઓગસ્ટે રોજ જાડેજા પરિવારના 50 વર્ષીય ખમાબા જાડેજા ઢળી પડતા માથાના ભાગમાં તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર અર્થે જ્યારે સિવિલ હોસ્પિટલમાં લવાયા ત્યારે તબીબોએ તેમનો જીવ બચાવવાના તમામ પ્રયત્નો કર્યા. 22 ઓગસ્ટે તબીબો દ્વારા અંતે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે તેમના પરિવારજનોને બ્રેઇનડેડ એટલે શું તે અંગેની કોઇપણ પ્રકારની જાણ ન હતી. ત્યારબાદ અંગદાન શું હોય છે અંગદાનનું મહત્વ શું છે તેનાથી પણ તેઓ અજાણ હતા. જાડેજા પરિવારના પુત્રોને સિવિલના તબીબો દ્વારા અંગદાન અંગે સમજ આપી તેનું મહત્વ સમજાવાયું હતું. પરિવારજનોને એટલું તો ખબર પડી ગઇ કે આ એક દાન છે જેના થકી કોઇ વ્યક્તિને નવું જીવન મળે છે. તેવા વિચાર સાથે પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો, જેના પરિણામે બે કિડની અને એક લીવરનું દાન મળતા 3 દર્દીઓમાં આ અંગોને પ્રત્યારોપણ કરાતા આ દર્દીઓને નવજીવન મળ્યું હતું.

જામનગરના પરિવારનો અંગદાનનો નિર્ણય

સિવિલ હોસ્પિટલમાં 23 ઓગસ્ટે પણ એક અંગદાન થયું જેમાં જામનગરના 40 વર્ષીય શંકરભાઇ કટારાને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સારવાર અર્થે સિવિલમાં લવાયા હતા. જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.

20 મહિનામાં કુલ 88 અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, આજે રાજ્યના શહેરી વિસ્તાર ઉપરાંત દૂર-સૂદૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને શિક્ષિત સાથે અશિક્ષિત વર્ગના સેવાભાવી લોકો પણ અંગદાનનું મહત્વ સમજીને આ સેવાયજ્ઞમાં જોડાયા છે. પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારને અંગદાનની સમજ આપતા અંગદાનનો કરેલો ત્વરિત નિર્ણય દર્શાવે છે કે જીવ થી જીવ બચાવવાના યજ્ઞમાં લોકો સ્વૈચ્છાએ નિ:સ્વાર્થપણે જોડાઇ રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં કુલ 88 અંગદાન થયા છે. જેમાં કુલ 277 અંગોનું દાન મળ્યું છે જેના થકી 254 પીડિત વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

أحدث أقدم