
[og_img]
- જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરાયું
- સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેચરાજી ખાતે યોજાશે કાર્યક્રમ
- શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે
દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં 76માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરાશે. મહેસાણા જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેચરાજી ખાતે કરવામાં આવશે. આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે.
આ અંગેનો કાર્યક્રમ સોમવારના રોજ સવારના 9-00 વાગ્યે મણીધર કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ, એસ.ટી.વર્કશોપ પાસે, મહેસાણા હાઈવે, બેચરાજી ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. આ સાથે મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે. શનિવારે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. શનિવાર સવારે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.ઓમ પ્રકાશ, પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઈન્દ્રજીતસિંહ વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.