અમદાવાદ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો લેક ડેવલપમેન્ટ માટે ફાળવ્યાં છે. પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગ વધારવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
AMC હવે 81 તળાવોનો વિકાસ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે 81 તળાવોનો વિકાસ કરશે.તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે.
પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે
આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે.પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ૧૫મા નાણાં પંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે.અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.