Tuesday, August 2, 2022

બંદૂકનો જવાબ બંદૂકથી જ આપવો જોઇએ: તામિલનાડુના રાજ્યપાલની પાકિસ્તાનને ચેતવણી

  • આર.એન.રવિએ મનમોહન સિંહ સરકારની કરી ટીકા
  • કોચીમાં ‘આંતરિક સુરક્ષા માટે સમકાલીન પડકારો’ વિષય પર બોલ્યા રાજ્યપાલ
  • 26/11નો મુંબઇ આંતકવાદી હુમલાથી સમગ્ર રાષ્ટ્રને આઘાત લાગ્યો હતો

ભારતની ‘હિંસા પ્રત્યે ઝીરો ટોલરન્સ’ની નીતિને પુનરાવર્તિત કરતા તમિલનાડુના ગવર્નર આર.એન. રવિએ 2008માં 26/11ના મુંબઈ આતંકી હુમલા અંગે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા અને મનમોહન સિંહ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જે કોઈ પણ બંદૂકનો ઉપયોગ કરે છે તેની સાથે બંદૂકથી જ કાર્યવાહી થવી જોઈએ.

તમિલનાડુના કોચીમાં રવિવારે ‘આંતરિક સુરક્ષા માટે સમકાલીન પડકારો’ વિષય પર એક સત્રને સંબોધતા તમિલનાડુના ગવર્નર આરએન રવિએ કહ્યું હતું કે, “જ્યારે 26/11નો મુંબઈ આતંકવાદી હુમલો થયો ત્યારે સમગ્ર રાષ્ટ્રને આઘાત લાગ્યો હતો, મુઠ્ઠીભર આતંકવાદીઓ દ્વારા રાષ્ટ્રનું અપમાન થયું હતું. આ હુમલાના 9 મહિના બાદ આપણા તત્કાલીન પીએમ અને પાકિસ્તાનના વડાપ્રધાને એક સંયુક્ત વિજ્ઞપ્તિ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો આતંકવાદનો શિકાર છે.”

તેમણે કહ્યું કે શું આપણો કોઈ દુશ્મન છે? પાકિસ્તાન મિત્ર છે કે દુશ્મન? તે સ્પષ્ટ હોવું જોઈએ. જો તમે વચ્ચે રહેવાનો પ્રયાસ કરો છો તો તમે મૂંઝવણમાં છો. 2008માં 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ મુંબઈમાં 12 સ્થળોએ ગોળીબાર અને બોમ્બ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 174 લોકો માર્યા ગયા હતા અને 300 ઘાયલ થયા હતા.

સર્જિકલ સ્ટ્રાઈકને પાકિસ્તાનને યોગ્ય જવાબ ગણાવતા રાજ્યપાલે કહ્યું, “પુલવામા હુમલા પછી, અમે અમારી હવાઈ શક્તિનો ઉપયોગ કરીને બાલાકોટમાં પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી. મેસેજ એ હતો કે જો તમે આતંકવાદી કૃત્યો કરો છો, તો તમારે કિંમત ચૂકવવી પડશે. ” તેમણે કહ્યું કે ભારતની આંતરિક સુરક્ષા હાલમાં મનમોહન સિંહના શાસનકાળ કરતાં વધુ સારી છે.

આરએન રવિ અહીં જ ન અટક્યા તેમણે કહ્યું કે મનમોહન સિંહના સમયમાં આપણી આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો માઓવાદી હિંસા હતી. તેઓ મધ્ય ભારતના 185થી વધુ જિલ્લાઓમાં ફેલાઈ ગયા હતા અને લોકો રેડ કોરિડોર વિશે પણ વાત કરી રહ્યા હતા. પરિસ્થિતિ ચિંતાજનક હતી. આજે તેમની હાજરી 8 કરતા ઓછા જિલ્લાઓ સુધી મર્યાદિત છે.

રાજ્યપાલે કાશ્મીર પર આ વાત કહી

કાશ્મીર પર બોલતા રાજ્યપાલ રવિએ કહ્યું, “હિંસા માટે શૂન્ય સહિષ્ણુતા છે. આ કઠોર લાગી શકે છે પરંતુ જે કોઈ પણ બંદૂકનો ઉપયોગ કરે છે તો તેની સાથે બંદૂકથી જ કાર્યવાહી થવી જોઈએ. દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ વાત કરનાર કોઇપણની સાથે કોઇ વાતચીત નથી. છેલ્લાં આઠ વર્ષમાં કોઇપણ સશસ્ત્ર ગ્રૂપની સાથે કોઇ વાતચીત થઇ નથી, સિવાય આત્મસમર્પણ કરવા માટે.

Related Posts: