Saturday, August 13, 2022

હત્યા : કેનાલમાંથી પ્લાસ્ટીકના કોથળામાં પૂરેલી યુવાનની લાશ મળી

featured image

[og_img]

  • સુરેન્દ્રનગરના દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી લાશ મળી
  • યુવાનની બે દિવસ પહેલા હત્યા કરાઈ હોવાનું હાલ બહાર આવ્યું
  • પોલીસે ઝીણવટભરી તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગરના દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં શનીવારે સવારે એક કોથળામાં કોઈની લાશ હોવાની વિગતો એ ડીવીઝન પોલીસને મળી હતી. આથી પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રીગેડની મદદથી કોથળાને બહાર કાઢી તપાસ કરતા તેમાંથી અંદાજે 30 થી 35 વર્ષના પુરૂષની લાશ મળી આવી હતી. લાશ 2 દિવસ પહેલાની હોવાનું હાલ માનવામાં આવી રહ્યુ છે. પોલીસે લાશની ઝીણવટભરી તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ આરંભી છે.

શનીવારે સવારે દુધરેજ નર્મદા કેનાલમાંથી કોથળામાં પુરેલી હાલતમાં લાશ મળી આવી હતી. કેનાલના રસ્તે આવેલી મુન્નાભાઈ પુંજાભાઈ કોળીની વાડી સામે કેનાલમાં ફાંદના ઘાસમાં કોથળો પડયો હોવાની પોલીસને જાણ થઈ હતી. આ અંગેની જાણ થતા ડીવાય.એસ.પી. એચ.પી.દોશી, એ ડીવીઝન પીઆઈ એમ.ડી.ચૌધરી, એલસીબી પીએસઆઈ વી.આર.જાડેજા, ધનરાજસીંહ, એસ.વી.દાફડા, મામલતદાર મયુર રાવલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફાયરબ્રીગેડની મદદથી કોથળાને દોરડા વડે ખેંચી લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી, જેમાં મૃતક યુવાન 30થી 35 વર્ષની વયનો હોવાનું તથા તેનું મોત અંદાજે 2 દિવસ પહેલા થયુ હોવાનું હાલ માનવામાં આવી રહ્યુ છે, તેમ છતાં પોલીસે લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ રવાના કરી છે. મૃતક ટીશર્ટ અને નીચે કેપ્રી પહેરેલી છે. આથી મોડી રાત્રે કે વહેલી સવારે તેની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. બીજી તરફ તેના માથા પર ઈજાના નિશાન પણ છે. તેના ખીસ્સામાંથી કોઈ ઓળખ થાય તેવી વસ્તુ પોલીસને મળી આવી નથી. હાલ લાશનો ભેદ ઉકેલવા પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

કોથળા પર લખેલા હળવદ શબ્દથી તપાસ હળવદ ભણી

નર્મદા કેનાલમાં મૃતકની લાશ જે કોથળામાં મળી આવી હતી, તે કોથળાની તપાસ કરતા તેના પર હળવદ લખેલું છે. આથી પોલીસની એક ટીમ હળવદ તપાસ અર્થે તાત્કાલીક રવાના કરાઈ છે. હળવદ પંથકમાં કોઈ આવો યુવાન ગુમ છે કે કેમ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

મૃતકના હાથ પર અંગ્રેજીમાં એસ ત્રોફાવેલ છે

પોલીસે કેનાલમાંથી કોથળો બહાર કાઢી લાશની તપાસ કરી હતી, જેમાં લાશના જમણા હાથ પર કાંડા પાસે અંગ્રેજીમાં એસ ત્રોફાવેલ હતુ. આથી લાશની ઓળખ માટે આ અંગ્રેજીમાં લખેલો એસ અક્ષર અગત્યનો પુરવાર થાય તેમ પોલીસ હાલ માની રહી છે.

લાશને કોઈ નાંખી ગયુ કે તરતી આવી ?

નર્મદા કેનાલમાંથી મળી આવેલ લાશ કેનાલની બાજુમાંથી પસાર થતા રસ્તાની સાવ નજીક છે. આથી લાશને કોઈ કારમાં કે અન્ય વાહનમાં આવી ફેંકી ગયાનુ પોલીસનું માનવુ છે. બીજી તરફ નર્મદા કેનાલમાંથી લાશ તરતી આવી હોય તેવુ પણ પોલીસ વિચારી રહી છે. હાલ પોલીસ કેનાલની આગળ આવતા રાજપર, બાળા, લખતરના ઢાંકી સહીતના વિસ્તારોમાં તપાસ કરી રહી છે.

મુખ્યમંત્રીએ જયાં ભોજન લીધું તે સ્થળ નજીકથી જ લાશ મળી

શુક્રવારે રાજયના મુખ્યમંત્રીએ દુધરેજમાં વટેશ્વર વનનું લોકાર્પણ કર્યુ છે. આ કાર્યક્રમ બાદ સીએમએ કેનાલ રોડ પર આવેલ ભાગ્યોદય પાર્ટી પ્લોટ ખાતે સરપંચો સાથે બેઠક કરી ટીફીન ભોજન લીધુ હતું. ત્યારે આ ભાગ્યોદય પાર્ટી પ્લોટની નજીક જ લાશ મળી આવી છે.

Related Posts: