[og_img]
- એશિયા કપની મેચોની ટિકિટોનું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ
- ટિકિટિંગ પાર્ટનરે લિસ્ટ-બ્રાન્ડેડ ટિકિટ ન ખરીદવાની સલાહ આપી
- જે લોકો ફરીથી ટિકિટ વેચશે તેમની ટિકિટ આપોઆપ રદ થઈ જશે
એશિયા કપ 2022માં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાવાની છે. આ મેચની ટિકિટ ખરીદવાની હરીફાઈ ચાલી રહી છે. કેટલાક ક્રિકેટ ચાહકો આ તકનો ખોટો ફાયદો ઉઠાવીને ફરી મોંઘા ભાવે ટિકિટ વેચવામાં લાગેલા છે. 11 સપ્ટેમ્બર સુધી ચાલનારા એશિયા કપમાં કુલ છ ટીમો ભાગ લેવા જઈ રહી છે.
28 ઓગસ્ટે ભારત Vs પાકિસ્તાન
એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 28 ઓગસ્ટે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ગત વર્ષે T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને દુબઈના મેદાનમાં જ ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે ભારત પાસે આ મેચની હારનો બદલો લેવાની તક છે.
ટિકિટ માટે લડાઈ
ભારત-પાકિસ્તાન મેચ આડે હજુ 10 દિવસથી વધુ સમય બાકી છે પરંતુ મેચને લઈને ક્રેઝ પહેલેથી જ છે. પરિણામે ટિકિટ માટે પણ ભારે હરીફાઈ જોવા મળી રહી છે. કેટલાક ક્રિકેટ ચાહકો આ તકનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, જે ચાહકોએ નિર્ધારિત રકમ માટે ટિકિટ ખરીદી હતી તેઓ હવે નફો મેળવવા માટે તેને પ્રીમિયમ કિંમતે ફરીથી વેચવામાં તૈયાર છે.
ટિકિટિંગ પાર્ટનર પ્લેટિનમ લિસ્ટે આપી ચેતવણી
હવે એશિયા કપના સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર પ્લેટિનમ લિસ્ટે આવા લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે જે લોકો ફરીથી ટિકિટ વેચશે તેમની ટિકિટ આપોઆપ રદ થઈ જશે. પ્લેટિનમ લિસ્ટે જણાવ્યું હતું કે, “સરકારી નિયમો અનુસાર ટિકિટનું ફરીથી વેચાણ કરવું ગેરકાયદેસર છે. ગ્રાહકોને કહેવાતી ગૌણ વેબસાઇટ્સ અથવા ઑનલાઇન વેચાણ સાઇટ્સ દ્વારા વેચાતી પ્લેટિનમ લિસ્ટ-બ્રાન્ડેડ ટિકિટ ન ખરીદવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે શક્ય છે કે ટિકિટ પ્રવેશ માટે માન્ય ન હોય અથવા રદ થઈ શકે.’ “જો ગ્રાહક દ્વારા એક જ ઇવેન્ટ માટે એક કરતાં વધુ ટિકિટ ખરીદવામાં આવે છે, તો તે એક જ સમયે દાખલ થવી જોઈએ,”
એશિયા કપ પહેલા શ્રીલંકામાં યોજાવાનો હતો
ભારત-પાકિસ્તાન મેચ સહીત એશિયા કપ 2022ની તમામ મેચોની ટિકિટોનું વેચાણ 15 ઓગસ્ટ (સોમવાર)થી શરૂ થઈ ગયું છે. શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટને કારણે ભારતના આ પાડોશી દેશે એશિયા કપની યજમાની કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી 15મી સીઝન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવી પડી.
એશિયા કપમાં છ ટીમો ભાગ લેશે
UAEમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. જ્યારે છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.