પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા
ગણેશોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોરોના મહામારીના બે વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને મોટા ભાગના ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ઉજવણી માટે થનગની રહ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય બાદ દુદાળા દેવ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. તેને લઈ પોલીસ તંત્ર દ્વારા વિસર્જન યાત્રાના માર્ગ ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આગામી 31 તારીખથી ગણેશ ચતુર્થી સાથે જ ગણેશોત્સવની શરૂઆત થશે.

ગોધરા શહેરમાં ગણેશોત્સવના તહેવારનું આગવું મહત્વ રહેલું છે. પાંચ દિવસના આતિથ્ય બાદ ગણેશજીની પ્રતિમાનું રામસાગર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવે છે. બીજી તરફ ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ ખડેપગે રહેશે. ત્યારે આજે પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. જેમાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણા સહિત વિવિધ પોલીસમથકના પોલીસ ઇન્સ્પેકટર તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

