વડોદરા28 મિનિટ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
“મારો જન્મ થાઇલેન્ડમાં થયો છે અને હું વારંવાર થાઇલેન્ડ જાઉં છું. ત્યાં LGBTQ કમ્યુનિટીના લોકોનું ખૂબ સન્માન જળવાય છે. તેમની સાથે કોઇ ભેદભાવ નથી રખાતો અને રોજગારીની સમાન તકો મળે. આપણે ત્યાં આવું નથી થતું, પણ હવે આવા લોકોને સમાનતા મળે એ માટે અમે સ્પેશિયલ કૅફે શરૂ કરી રહ્યા છીએ. આ કેફેમાં LGBT ક્મ્યુનિટીના લોકો જ ફૂડ બનાવશે અને સર્વ પણ કરશે.” આ શબ્દો છે વડોદરાના રાજવી પરિવારના મહારાણી અને ચિમનાબાઇ મહિલા સ્ત્રી ઉદ્યોગાલયના વાઇસ પ્રેસિડેન્ટ રાધિકારાજે ગાયકવાડના.
ગાયકવાડી શાસનમાં કિન્નરોના હતા માન-પાન
વડોદરાના ગાયકવાડી શાસનમાં 21મી સદીમાં પણ ન મળી શકે તેવુ શિક્ષણ, રોજગાર, સમાનતા અને સુરક્ષા મળતી હતી. આ શાસનમાં જ જાતિના ભેદભાવ મીટાવી ડૉ. ભીમરાવ આંબેડકરને શિક્ષણની સાથે નોકરી પણ મળી. સર સયાજીરાવ ગાયકવાડના શાસનમાં કિન્નરોને પણ સામાન્ય લોકોની જેમ સહશિક્ષણ અને સ્વતંત્રતા અપાઈ હતી. તેમને વિશેષ અધિકારો પણ હતા જેથી તેમણે ભિક્ષા માગવી ન પડે.
ફરી દોહરાશે ગાયકવાડી શાસનનો ઇતિહાસ
હવે આ ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું અને વડોદરાનો રાજવી પરિવાર ફરી એકવખત LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રેન્સજેન્ડર અને કિન્નરો)ને સમાજના મૂળ પ્રવાહમાં સાથે જોડવા એક સ્પેશિયલ કૅફે શરૂ કરવા જઇ રહ્યો છે. આ કૅફે ગુજરાતમાં કોઇપણ રાજવી પરિવાર દ્વારા LGBTQ કમ્યુનિટી માટે અને તેમના દ્વારા સંચાલિત થનાર પ્રથમ કૅફે હશે. આ કૅફે શરૂ કરવા અંગેના વિચાર અને ઉદ્દેશ્ય અંગે દિવ્યભાસ્કર દ્વારા વડોદરાના રાજવી પરિવારના મહારાણી અને ચિમનાબાઇ મહિલા સ્ત્રી ઉદ્યોગાલયના વાઇસ પ્રેસિડેન્ટ રાધિકારાજે ગાયકવાડ સાથે વિશેષ વાત કરી હતી.