પ્રદૂષણ ન ફેલાય તે જોવા ધારાસભ્યની તાકીદ | MLA urges to see that pollution does not spread

ભરૂચ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં ONGCના 136 કૂવાઓ અંગે પર્યાવરણીય લોક સુનાવણી

ભરૂચ જિલ્લામાં આવેલાં ઓએનજીસીના કાર્યરત 136 કુવાઓ સંદર્ભમાં જંબુસરના એપીએમસી હોલ ખાતે પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં જંબુસરના ધારાસભ્યએ ખનીજ તેલના કુવાઓથી પ્રદુષણ ન ફેલાય તે જોવા માટે તાકીદ કરી હતી.

ગુજરાતના પર્યાવરણ અને આબોહવા પરિવહન મંત્રાલય પાસેથી પર્યાવરણીય મંજુરી મેળવવા માટે ઓએનજીસી તરફથી દરખાસ્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ડ્રીલ કરવામાં આવનારા 136 કુવાઓ સંદર્ભમાં જંબુસરમાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી. ભરૂચના અધિક કલેકટર જે.ડી.પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી લોક સુનાવણીમાં જીપીસીબીના ભરૂચ ખાતેના રીજીયોનલ મેનેજર માર્ગી પટેલ, ઓએનજીસીના જનરલ મેનેરજ શિલાદિત્ય ભટ્ટાચાર્ય સહિત અન્ય અધિકારીઓ હાજર રહયાં હતાં.

આ પ્રોજેક્ટથી પર્યાવરણ ઉપર પડનારી સંભવિત અસરોનું મૂલ્યાંકન અને તેના સમાધાન માટે લેવાનાર પગલાંની વિસ્તૃત જાણકારી સ્થાનિક લોકોને આપવામાં આવી હતી. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ખનીજ તેલના કુવાઓમાંથી જેટલું ખનીજ તેલ બહાર કાઢવામાં આવે છે તેની સામે તેટલું પાણી કુવાઓમાં ઉમેરવા માટે સુચના આપી છે. સારકામના કારણે ભુકંપ થવાની સંભાવના પણ રહેલી છે. આ ઉપરાંત લોક સુનાવણીમાં ડાભા તથા નાડા ગામના ખેડુતોના ખેતરમાં ઓએનજીસીની પાઈપલાઈન નાખ્યા પછી છ વર્ષે પણ વળતર મળ્યું ન હોવાની રજુઆત કરાય હતી.

સીએસઆર ફંડમાંથી લોકોને સુવિધા આપો
ખનીજતેલના કુવાઓના કારણે જંબુસર તથા આસપાસના તાલુકાઓમાં ભુર્ગભ જળ પ્રદુષિત થઇ ગયાં છે. આ ઉપરાંત ઓએનજીસીના ભારદારી વાહનોની અવરજવરના કારણે નાડા ગામનો રસ્તો બિસ્માર બની ગયો છે. કંપનીના સીએસઆર ફંડમાંથી આ રસ્તો નવો બનાવવામાં આવે તેમજ જંબુસર તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર સુવિધાઓ વધારવામાં આવે તેવી રજુઆત કરી છે. > સંજય સોલંકી, ધારાસભ્ય, જંબુસર

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/12/orig_18_1660269325.jpg

Previous Post Next Post