Foresters Strike: રાજ્યમાં વનરક્ષક વર્ગ 3ના કર્મચારીઓ 2800 ગ્રેડ-પે અને રજાનો પગાર આપવા સહિતની પડતર માગો સાથે હડતાળ પર જશે. 23મી ઓગષ્ટથી રાજ્યના વન રક્ષકો હડતાળ પર ઉતરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

ફાઈલ ફોટો
રાજ્યમાં વનરક્ષક (Forest Guard) વર્ગ 3ના કર્મચારીઓને 2800 ગ્રેડ પે(Grade-Pay) અને રજાનો પગાર આપવા માટે વન રક્ષક કર્મચારી મંડળે 9 મહિના અગાઉ કેબિનેટ વનમંત્રીને રજૂઆત કરી હતી, અહીં આ માગણીઓ આજ દિન સુધી નહીં સંતોષાતા હવે વન રક્ષકોએ પણ આંદોલન કરશે. તેમની વિવિધ પડતર માગો સાથે તેઓ 23મી ઓગષ્ટથી હડતાળ(Strike) પર ઉતરશે. ગુજરાત રાજ્ય વન રક્ષક મંડળની માગ છે કે તેમને 2800 ગ્રેડ-પે આપવો, જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજવો રજા પગાર આપવો, ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરવો, સમયસર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા, 7મા પગારપંચ મુજબ સ્ટીકર ફાળવવા, સમસયસર ડ્રેસ આર્ટિકલ ફાળવવા, સમયસર ખાતાકીય પરીક્ષાઓ યોજવી અને બઢતી આપવા સહિતના 14 માગણીઓ મુદ્દે હડતાળ પર જશે.
વિવિધ પડતર માગો મુદ્દે 23 ઓગષ્ટને મંગળવારથી વનકર્મીઓ પણ ઉગામશે હડતાળનું શસ્ત્ર
વન રક્ષક કર્મચારી મંડળે 9 મહિના પહેલા કેબિનેટ વનમંત્રીને મળીને રજૂઆત કરી હતી, આ રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતા 23મી ઓગષ્ટથી વન રક્ષકોએ પણ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યુ છે. હાલ રાજ્યમાં ચૂંટણીનું વર્ષ હોવાથી અનેક કર્મચારી મંડળો તેમની પડતર માગો મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામી સરકારનું નાક દબાવવાની કોશિષ કરી રહ્યા છે, જેમાં પંચાયત તલાટીઓ, આરોગ્યકર્મીઓ, શિક્ષકો બાદ હવે વન રક્ષકો પણ હડતાળ પર જશે. રાજ્યમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ એક પછીથી એક સરકારી વિભાગોના વર્ગ-3ના કર્મચારીઓએ ગ્રેડ-પે વધારવા સરકારનું નાક દબાવવાનુ શરૂ કર્યુ છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણેક વિભાગોમાં આંદોલનો શરૂ છે. જેમાં હવે વન રક્ષકોએ પણ 23 ઓગષ્ટને મંગળારથી હડતાળ પર જવાનું એલાન કર્યુ છે. રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના પ્રમુખના જણાવ્યા મુજબ તેઓ 2800 ગ્રેડ પે અને રજા પગાર આપવાની છેલ્લા અનેક વર્ષોથી માગ કરી રહ્યા છે. વનરક્ષકોની ભરતીનો રેશિયો 1:3 કરવા વારંવાર રજૂઆતો કરી છતા સરકાર દ્વારા કોઈ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી વનરક્ષકોએ ફરી મુખ્યમંત્રી, વનમંત્રી અને વનવિભાગને પત્ર લખી પાંચ દિવસમાં ન્યાયી ઉકેલ લાવવા માગ કરી છે.
એકતરફ રાજ્યમાં આરોગ્ય કર્મીઓ અને તલાટીઓ અગાઉથી જ હડતાળ પર છે તેવામાં વન રક્ષકો પણ મંગળવારથી હડતાળ પર ઊતરવાનું એલાન આપ્યુ છે. જો વનરક્ષકો તેમના ફિલ્ડની કામગીરી છોડી આંદોલનમાં જોડાશે તો વન્ય જીવો અને વન્ય સંપદાને મોટુ નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે. તેમજ રાજ્યમાં આવેલા વિવિધ અભયારણ્યોને પણ મોટો ફટકો પડશે.