બોટાદએક કલાક પહેલા
બોટાદ જિલ્લામાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું નીર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. જિલ્લાના જળાશયો તેમજ ચેકડેમમાં પાણી આવતા કુવા તેમજ બોરના તળ પણ ઉંચા આવશે જેના કારણે ઉનાળામાં લોકોને તેમજ ખેડૂતોને સિચાઈ માટેના પાણીની સમસ્યા નહીવત રહેશે.
બોટાદ જિલ્લામાં ચોમાસાની સિઝન દરમ્યાન સામાન્ય વરસાદ પડેલ જેને લઈ બોટાદ જિલ્લાના ખેડૂતો દ્રારા સ્થાનિક બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તેમજ ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર દ્રારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ નર્મદા ડેમની સપાટી 135 ફૂટને પાર થતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને તે પાણી સૌની યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાં પહોંચ્યું છે. બોટાદ જિલ્લાના કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના નવા નીર આવ્યા તો જિલ્લાના અન્ય ચેકડેમ તેમજ જળાશયો સાથે ગઢડાના ઈતરીયા તેમજ લિબાળી ડેમમાં પણ નર્મદાના નવા નીર આવતા ખેડૂતો સહિત તમામ લોકોમાં ખુશી જોવા મળી છે.