મોરબી20 મિનિટ પહેલા
મોરબી તાલુકાના સોખડા ગામમાં મધ્યાહન ભોજન સંચાલકની રસોઈ બાળકો જમતા ના હોય તેવો વિવાદ બે દિવસથી ચાલી રહ્યો છે. જે વિવાદનો અંત લાવવા ગામના સરપંચ અને શાળાના સ્ટાફે પહેલ કરી હતી અને આજે સૌએ સાથે ભોજન લીધું હતું. જોકે ભોજન લીધા બાદ એક બાળકીને ઉલટી થતા ફરી મામલો બીચકયો હતો અને બાળકીના વાલી સહિતના વાલીઓએ શાળાએ આવી હંગામો મચાવ્યો હતો. તેમજ શાળામાં ધરાર ભોજન લેવાની ફરજ પાડવામાં આવશે તો તમામ બાળકોના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ મેળવી શાળામાંથી ઉઠાડી દેવામાં આવશે તેવો હંગામો કર્યો હતો. તો બીજી તરફ મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અને તેના પતિએ બનાવનો વીડિયો બનાવી પોલીસને જાણ કરી હતી, અને મામલો પોલીસ મથકે પહોંચાડવામાં આવ્યો છે.
બાળકોને સ્વૈચ્છિક રીતે ભોજન કરવા માગ
સોખડા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકો જમતા નથી, તેવો વિવાદ ચાલતો હતો. જેનો અંત લાવવા આજે ગામના સરપંચ, આગેવાનો અને શિક્ષકોએ સાથે ભોજન લીધું હતું અને બાળકો શાળામાં ભોજન લે તેવો પ્રયત્ન કર્યો હતો. આચાર્ય રત્નોકર બિંદીયાએ જણાવ્યું હતું કે બાળકો સ્વૈચ્છિક રીતે જ જોડાયા હતા કોઈ દબાણ કરાયું ના હતું. જોકે ભોજન લીધા બાદ એક બાળકીને ઉલટી થઇ હતી. જેથી તેના વાલીએ શાળાએ આવીને બાળકને ભોજન માટે કેમ દબાણ કરાય છે, તેમ કહીને વિરોધ કર્યો હતો. ત્યારે મધ્યાહન ભોજન સંચાલક ધારાબેન મકવાણા અને તેના પતિએ વીડિયો બનાવી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને શિક્ષણ વિભાગની ટીમે શાળાની મુલાકાત લીધી હતી તો કેટલાક વાલીઓએ બાળકોને અહીં નથી ભણાવવા કહીને લીવીંગ સર્ટીફીકેટ માટે માંગ કરી હતી. જેમં ઇન્ચાર્જ ડીપીઈઓ ભરત વિડજા દ્વારા બાળકોને જમવા માટે દબાણ ના કરવા જણાવ્યું હતું અને સ્વૈચ્છિક રીતે ભોજન કરવું હોય તે કરી સકે છે તેમ કહ્યું હતું.