અમરેલીએક કલાક પહેલા
- કૉપી લિંક

- ખેડૂતોના ઉભા પાકમાં જંગલી ભૂંડે સોથ વાળી દેતા મોટું નુકસાન
અમરેલી જિલ્લામાં જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જાફરાબાદના ટીંબી પંથકમાં જંગલી ભૂંડે ખેડૂતોના કપાસ અને મગફળીના પાકનો સોથ વાળી દીધો હતો. જેથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યુ છે.

ખેતરોને જંગલી ભૂંડે ખેદાનમેદાન કરી નાખ્યું
જાફરાબાદના ટીંબી ગામે ખેડૂતના ઉભા ખેતરમાં જંગલી ભૂંડોએ ઘૂસી જઈ મગફળી, કપાસ સહિતના પાકોનો સોથ વાળી દીધો છે. આ બનાવને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટીંબી ગામના ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડે ખેદાનમેદાન કરી નાખ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેતરોમાં ઉભા પાકનો સોથ વાળી નાખતા ખેડૂતોને મોટું નુકસાન પહોચ્યુ છે.
સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માગ
હસુમખભાઈ નામના ખેડૂતના ખેતરમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. જંગલી ભૂંડનું ટોળું ખેતરમાં ઘૂસી જવાને કારણે તેમના ખેતરમાં અંદાજિત 2 થી 3 વીઘા જમીનમાં વાવેતર કરેલો કપાસ, મગફળી સહિતના પાકોને મોટું નુકસાન પહોંચ્યુ છે. ખેડૂત દ્વારા મોટો ખર્ચો કરીને ખરીફ પાકોનું વાવેતર કર્યું છે અને મજૂરી પણ મોટી ચૂકવી છે. તેવામાં પાક તૈયાર થાય તે પહેલા જ ભૂંડે પાકનો સોથ વાળી દીધો હતો. આ ખેડૂતની સાથે અન્ય આસપાસના ખેડૂતોને પણ નુકસાની પહોંચી છે. જેથી ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના પાકને જંગલી ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માગ ખેડૂતોએ કરી છે.
જંગલી ભૂંડના ત્રાસથી લોકો પરેશાન
ટીંબીના સ્થાનિક આગેવાનો દ્વારા વન વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરી છે અને ખેડૂતોને સર્વે કરી યોગ્ય વળતર આપવા પણ માગ કરવામાં આવી રહી છે. તો બીજી અમરેલી જિલ્લાના 11 તાલુકાઓમાંથી મોટા ભાગના તાલુકાના ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બગસરા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, લીલીયા, જાફરાબાદ સહિતના તાલુકાઓના ખેડૂતો જંગલી ભૂંડ અને રોઝના ત્રાસથી હાલાકી ભોગવી રહ્યા છે. તેવામાં વનવિભાગ અને સરકાર દ્વારા જંગલી ભૂંડના ત્રાસથી છુટકારો આપવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.