Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા લોકો વચ્ચે જવા અને સતત લોક સંપર્કમાં રહેવા માટે ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. 7 ઓક્ટોબરથી રાજ્યના જૂદા-જૂદા પાંચ ઝોનમાં 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ભાજપ લોકો વચ્ચે જશે અને રાજ્યસરકારની કામગીરીથી વાકેફ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપ (BJP) દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 5 ઝોનમાં ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. 7 ઓક્ટોબરથી આ યાત્રાની શરૂઆત થવાની છે. ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત કેન્દ્રીય નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે. ભાજપ હંમેશા સતત યાત્રાઓ દ્વારા લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહે છે. ભાજપની અત્યાર સુધીની યાત્રામાં સોમનાથની જે યાત્રા હતી તે ઘણી જ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ના સમયમાં વિવેકાનંદ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. આ અગાઉ ભાજપ દ્વારા બંધારણ ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરથી સુધી બંધારણ ગૌરવ યાત્રા યોજાઈ હતી. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીથી શરૂઆત કરાવી હતીઅને 6 ડિસેમ્બરે સી.આર. પાટીલે વડનગરથી સમાપન કરાવ્યુ હતુ.
7 ઓક્ટોબરથી ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન
ગત વિધાનસભા ચૂંટણી વખતે વનવાસી બંધુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉમરગામથી અંબાજી સુધીની આ યાત્રા યોજાઈ હતી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જૂદા જૂદા પાંચ ઝોનમાં આ યાત્રા ફરશે. ચૂંટણીના માહોલમાં લોકો વચ્ચે જઈ લોકસંપર્ક કરવામાં આવશે. જેમા ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે કરેલી કામગીરીથી વાકેફ કરવામાં આવશે. જેમા કેન્દ્ર સરકારની 7 વર્ષની કામગીરી જ્યારે રાજ્ય સરકારની 20 વર્ષની કામગીરીને લોકોની વચ્ચે જશે.
ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર