Surat: સુરત પોલીસે ચાલુ વર્ષે ભૂલા પડી ગયેલા અને ખોવાયેલા 168 જેટલા બાળકોને તેમના માતા-પિતા સાથે મળાવવાની ઉમદા કામગીરી કરી છે. એટલુ જ નહીં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 219 ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં મોકલવાની કામગીરી પણ કરવામાં આવી છે.
સુરત પોલીસ
જ્યારે પણ પોલીસ (Police)ની વાત આવે આવે એટલે એક સખ્ત કડક છાપ મગજમાં તરી આવે. પરંતુ પોલીસની અંદર પણ કોમળ હ્રદય છુપાયેલુ હોય છે. સુરત (Surat) પોલીસે આવુ જ માનવતાનું ઉદાહરણ પુરુ પાડતા મળી આવેલા બાળકોને તેમના માતા-પિતા સાથે મિલન કરાવવાની ઉમદા કામગીરી આ વર્ષે શરૂ કરી છે. આ કામગીરી અંતર્ગત સુરતની અલગ અલગ PCR વાન દ્વારા કુલ 168 મળી આવેલા બાળકો (Children)ને તેમના માતા-પિતાને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઓદ્યોગિક નગરી સુરતમાં દર વર્ષે સેંકડો બાળકો ગુમ થયાના બનાવ સામે આવતા હોય છે.
સુરત પોલીસ કંટ્રોલરૂમમાં બાળક ગુમ થયાના ફોન આવે ત્યારે પોલીસની PCR વાન ત્વરિત દોડતી થઈ જાય છે. સાથે સ્થાનિક પોલીસ કર્મચારીઓ પણ દોડતા થઈ જાય છે. કોઈ બાળક ગુમ થવાની ઘટનામાં અને તેમા પણ બાળકીઓના ગુમ થવાની ઘટનામાં પોલીસ વધુ ગંભીરતા અને જવાબદારી સાથે જોતરાતી હોય છે.
સુરત PCR વાન દ્વારા આ વર્ષે 168 ખોવાયેલા બાળકોનું માતા-પિતા સાથે કરાવ્યું મિલન
સુરતમાં આ વર્ષ 2022 માં આજદિન સુધીમાં પોલીસ કંટ્રોલરૂમમાં આવેલ કોલને આધારે કુલ 168 બાળકો જે રસ્તામાં મળી આવેલા તેવા બાળકોને તેમના માતા પિતા કે વાલીને શોધીને પરત સોંપવામાં આવ્યા છે. આવા બાળકો સાથે કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ અઘટિત ઘટના બને તે પહેલા તેવી સ્થિતિને નિવારી ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં સૌથી વધારે ગુમ બાળકોના ફોન પાંડેસરા, સચીન GIDC સહિતના વિસ્તારમાં આવ્યા છે. જે બાબતે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. લોકોને જાગૃત કરવામાં આવે છે, જેથી કોઈ અઘટિત ઘટના ન બને.
સુરત પોલીસે 239 લોકોને આશ્રય સ્થાન અપાવ્યું
સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ચાર માસમાં કુલ 239 ઘરવિહોણાને શેલટર હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરત શહેર પોલીસ દ્વારા પુલ નીચે, ફૂટપાથ કે બાગ બગીચા જેવા જાહેર સ્થળો પરથી મળી આવેલા ઘરવિહોણાને આશ્રય સ્થાનની સાથે સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રેસ્ક્યું કરીને શહેરના વિવિધ શેલટર હોમમાં દાખલ કરવાની પ્રશંસનીય કામગીરી કરી છે. ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કેટલાક પોલીસ સ્ટેશનમાં બાળકો માટે ચિલ્ડ્રન રૂમ બનવામાં આવ્યો છે જ્યાં માતા પિતા ક્યાંક કામ માટે બહાર જાય તો બાળકોને શેલ્ટર રૂમમાં મુકી શકે છે.