Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલમાં લોકાર્પણ પ્રસંગે કહ્યુ 20-25 વર્ષ પહેલા ગુજરાતની અનેક વ્યવસ્થાને અનેક બિમારીઓએ જકડેલી હતી. ગુજરાત સ્વાસ્થ્ય ક્ષેત્રે પછાતપણુ, શિક્ષણમાં કુવ્યવસ્થા, વીજળીનો અભાવ, પાણીની તંગી, કથળેલી કાયદો વ્યવસ્થા જેવી બિમારીઓથી ગ્રસ્ત હતુ. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતને સ્વસ્થ બનાવવાનુ કામ કર્યુ.
સિવિલમાં પીએમનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમદાવાદ અસારવા સિવિલ મેડિસિટી ખાતે વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતુ. વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ બાદ પીએમ મોદીએ દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને અહીં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યુ આજથી સાડા ત્રણ વર્ષ પહેલા મે અહીં મેટરનલ અને ચાઈલ્ડ હેલ્થ અને સુપર સ્પેશ્યિાલિટી સર્વિસ શરૂ કરી હતી. આજે આટલા ઓછા સમયમાં જ મેડિસિટી કેમ્પસ (Medicity Campus) પણ આટલા ભવ્ય સ્વરૂપમાં આપણી સમક્ષ તૈયાર થઈ ચુક્યુ છે. સાથે ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસ (Kidney Disease) અને યુએન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજીની ક્ષમતાવાર વિસ્તાર થઈ રહ્યો છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની નવી બિલ્ડિંગ સાથે અપગ્રેડેડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ પણ શરૂ થઈ રહી છે.
પીએમએ કહ્યુ આ દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ હશે જ્યાં સાયબર નાઈબ જેવી આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ હશે. જ્યારે વિકાસની ગતિ ગુજરાત જેવી તેજ હોય તો કામ અને ઉપલબ્ધિઓ એટલી વધુ હોય છે કે તેને ક્યારેક ગણાવવી પણ મુશ્કેલ થઈ જાય છે.
20-25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓને અનેક બિમારીઓએ જકડેલી હતી- પીએમ મોદી
પીએમએ કહ્યુ આજે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં હું ગુજરાતની એક મોટી યાત્રા વિશે વાત કરવા માગુ છુ. આ યાત્રા છે વિવિધ બિમારીઓમાંથી સ્વસ્થ થવાની. વડાપ્રધાને કહ્યુ મારા મુખ્યમંત્રીકાળ દરમિયાન અનેક પ્રકારની બિમારીઓ મારે ઠીક કરવી પડતી હતી. 20-25 વર્ષ પહેલા ગુજરાતની વ્યવસ્થાઓને અનેક બિમારીઓએ જકડેલી હતી. એક બિમારી હતી સ્વાસ્થ્ય ક્ષેત્રે પછાતપણુ. બીજી બિમારી હતી શિક્ષણમાં કુવ્યવસ્થા. ત્રીજી બિમારી હતી વીજળીનો અભાવ. ચોથી બિમારી હતી પાણીની તંગી. પાંચમી બિમારી હતી દરેક તરફ ફેલાયેલુ કુશાસન. છઠ્ઠી બિમારી હતી ખરાબ કાયદો અને વ્યવસ્થા.
20-25 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર અને કથળેલી કાયદો વ્યવસ્થા સામે ગુજરાત જુજતુ હતુ -પીએમ મોદી
વડાપ્રધાને કહ્યુ આ દરેક બિમારીઓના મૂળમાં સૌથી મોટી બિમારી હતી વોટબેંકની રાજનીતિ. જે વડીલો અહીં હાજર છે, ગુજરાતની જૂની પેઢીના જે લોકો છે તેમને આ દરેક વાતો સારી રીતે યાદ છે. 20-25 વર્ષ પહેલાના ગુજરાતની આ જ સ્થિતિ હતી. સારા શિક્ષણ માટે યુવાનોને બહાર જવુ પડતુ હતુ. સારી સારવાર માટે લોકોને ભટકવુ પડતુ હતુ. વીજળી માટે પણ લોકોને રાહ જોવી પડતી હતી. ભ્રષ્ટાચાર અને ખસ્તાહાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે દરરોજ જૂજવુ પડતુ હતુ. પરંતુ આજે ગુજરાત આ દરેક બિમારીઓને પાછળ છોડી દઈ આગળ વધી રહ્યો છે. આથી જેવી રીતે નાગરિકોને બિમારીઓથી મુક્ત કરાયા તેમ રાજ્યને પણ બિમારીઓથી મુક્ત કરવાનો આ મુક્તિયજ્ઞ અમે ચલાવી રહ્યા છીએ અને મુક્ત કરવાનો હરસંભવ પ્રયાસ કરી રહ્યા છીએ.
પીએમએ કહ્યુ આજે જ્યારે વાત થાય છે હાઈટેક હોસ્પિટલની તો ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છે. પીએમએ કહ્યુ હું જ્યારે અહીં મુખ્યમંત્રી હતો ત્યારે સિવિલ હોસ્પિટલ પણ અનેકવાર આવતો હતો. ત્યારે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો, રાજસ્થાનના કેટલાક વિસ્તારો, મોટી સંખ્યામાં સારવાર માટે અહીં આવવાનુ પસંદ કરતા હતા.
પીએમએ કહ્યુ જો શિક્ષણ સંસ્થાઓની વાત કરીએ તો એક એકથી ચડિયાતી યુનિવર્સિટીની વાત હોય તો આજે ગુજરાતનો કોઈ મુકાબલો નથી. ગુજરાતમાં પાણીની સ્થિતિ, વીજળીની સ્થિતિ, કાયદો વ્યવસ્થા સહિત બધુ સુધરી ગયુ છે. આજે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસવાળી સરકાર સતત ગુજરાતની સેવા માટે કામ કરી રહી છે.
હાઈટેક મેડિસિટી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સેવાઓએ ગુજરાતની ઓળખને નવી ઉંચાઈ આપી-PM
વડાપ્રધાને કહ્યુ આજે અમદાવાદમાં હાઈટેક મેડિસિટી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીજી સેવાઓએ ગુજરાતની ઓળખને એક નવી ઉંચાઈ આપી છે. આ માત્ર એક સેવા સંસ્થાન જ નથી, સાથે જ એ ગુજરાતના લોકોની ક્ષમતાનું પ્રતિક પણ છે. મેડિસિટીમાં ગુજરાતના લોકોને સારુ સ્વાસ્થ્ય પણ મળશે, અને એ ગર્વ પણ થશે કે વિશ્વની ટોચની મેડિકલ સુવિધા હવે આપણા રાજ્યમાં સતત વધી રહી છે.
મેડિકલ ટુરિઝમના ક્ષેત્રે ગુજરાતનું જે અપાર સામર્થ્ય છે તેા પણ હવે વૃદ્ધિ થશે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી હોય છે. આ વાત સરકારો પર પણ લાગુ થાય છે જો સરકારોનું મન સ્વસ્થ નહી હોય, નિયત સાફ નહીં હોય, જેના મનમાં જનતા જનાર્દન માટે સંવેદના નહીં હોય તો રાજ્યનો સ્વાસ્થ્ય ઢાંચો પણ નબળો પડી જાય છે. ગુજરાતના લોકોએ 20-22 વર્ષ સુધી એ પીડા સહન કરી છે.
વડાપ્રધાને કહ્યુ ગુજરાતના લોકોએ 20-22 વર્ષ સુધી પીડા સહન કરી છે અને પીડામાંથી મુક્તિ માટે જ્યારે તમે ડોક્ટર પાસે જશો તો મોટાભાગના ડોક્ટર ત્રણ સલાહ તો જરૂર આપશે. પહેલા કહે દવાથી સારુ થઈ જશે. પછી તેમને એવુ લાગે છે કે દવાવાળુ સ્ટેજ નીકળી ગયુ છે તો તેઓ મજબુરીથી કહે છે કે સર્જરી વિના ચારો નથી. દવા હોય કે સર્જરી તેની સાથે તેઓ સ્વજનોને સમજાવે છે કે હું તો મારુ કામ કરી લઈશ પરંતુ સંભાળની જવાબદારી તમારી છે. તમે દર્દીની સારી રીતે સંભાળ રાખજો, તેના માટે પણ તેઓ સલાહ આપે છે. આ જ વાતને અલ઼ગ રીતે કહીએ તો ગુજરાતની ચિકિત્સા વ્યવસ્થાને સુધારવા માટે અમારી સરકારે ઈલાજના આ ત્રણેય તરીકાઓનો ઉપયોગ કર્યો. જે ડોક્ટરો દર્દીઓ માટે કરે છે હું રાજ્ય વ્યવસ્થા માટે પણ એવુ જ કરતો હતો. સર્જરી એટલે જૂની સરકારી વ્યવસ્થાઓમાં હિંમત સાથે પુરી તાકાત સાથે બદલાવ. નિષ્ક્રિયતા, લચરપંથી અને ભ્રષ્ટાચાર પર કાતર. આ મારી સર્જરી રહી છે.