જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને તે ભારત માટે મોટો ઝટકો હતો. પરંતુ હવે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારે એ વાત સ્વિકારી લીધી છે કે તે ઉતાવળ હતી
Jasprit Bumrah ઈજાને લઈ હાલમાં એનસીએમાં છે
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં તેના સૌથી આશાસ્પદ અને શ્રેષ્ઠ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વિના ICC T20 વર્લ્ડ કપ-2022 માં રમી રહી છે. તેનું કારણ બુમરાહની ઈજા છે. બુમરાહ ટી20 વર્લ્ડ કપ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો અને તેથી જ તે વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ગયો ન હતો. તેની જગ્યાએ ફરી મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી છે. BCCI ની સિનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્માએ હવે બુમરાહને લઈને પોતાની ભૂલ કબૂલ કરી છે.
ઈજાના કારણે બુમરાહ એશિયા કપ-2022 માં રમ્યો ન હતો. આ પછી તેણે પુનરાગમન કર્યું અને ઓસ્ટ્રેલિયા સામે બે ટી20 મેચ રમી. પરંતુ તે પછી તે ફરીથી ઈજાગ્રસ્ત થયો અને તેના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં રમી શક્યો નહીં. જો કે તે સમયે કોચ અને બીસીસીઆઈ પ્રમુખ સતત કહી રહ્યા હતા કે બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ હતી અને બુમરાહ ટીમ સાથે નહોતો. ત્યારબાદ સમાચાર આવ્યા કે બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.