[og_img]
- ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે યોજાયો ખાસ કાર્યક્રમ
- લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કર્યો યુવાનો સાથે સંવાદ
- યુવાશક્તિ વિશ્વને નવા વિચારો-પ્રેરણા આપવા સક્ષમ: ઓમ બિરલા
બુધવારે સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં યોજાયેલા સમારોહમાં લોકસભા સ્પીકરે હાજરી આપવાની સાથે જ યુવાનો સાથે સંવાદ કર્યો હતો. ઓમ બિરલાએ જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં કૃષિ, વિજ્ઞાન, ટેક્નોલોજીને લગતી સમસ્યાઓનું સમાધાન વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ કરતા યુવાધન આપશે. દેશમાં કાનૂની, શાસન, સમાનતા અને ન્યાયનો અધિકાર જાળવવામાં કાયદાના વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. દેશની યુવાશક્તિ વિશ્વને નવા વિચારો-પ્રેરણા આપવા સક્ષમ છે. ભારત દેશનું યુવાધન રાષ્ટ્રનું પ્રાણતત્વ છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ અને ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપનું ઉદ્ઘાટન કર્યા બાદ યુવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમને જણાવ્યુ હતુ કે, દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં નવયુવાનોની સક્રિય બાગીદારી જરૂરી છે. આઝાદીના 75 વર્ષની યાત્રા દરમિયાન દેશમાં સાક્ષરતામાં નોંધપાત્ર સુધારો થયો છે. તે સાથે જ વૈજ્ઞાનિક ઢબે ખેતીથી ગ્રામીણ ક્ષેત્રે આર્થિક વિકાસ થયો છે.
ખેતીક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે યુવાનોની સહભાગિતા જરૂરી છે. ગ્રામીણ ક્ષેત્રમાં જઇને ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી અપનાવવાની પ્રેરમા આપવા અને તેના થકી ખેત ઉત્પાદન વધારીને આર્થિક અને મજબૂત ભારતના નિર્માણમાં યુવાનો સહભાગી થાય એ જરૂરી છે. દેશને વિશ્વમાં અગ્રેસર બનાવવા યુવાનો સક્રિય રાજનીતીમાં આવે એ પણ આજના સમયની માંગ છે.