Saturday, October 8, 2022

Sharad Purnima: નિરોગી જીવનના આશિષ દેશે આ શરદ પૂર્ણિમા, સરળ ઉપાયો દ્વારા પૂર્ણ થશે મનોકામના !

શરદ પૂર્ણિમાને (Sharad Purnima ) કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કાર્તિકેય ભગવાનના પૂજનથી કુંવારી કન્યાઓને મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય છે !

Sharad Purnima: નિરોગી જીવનના આશિષ દેશે આ શરદ પૂર્ણિમા, સરળ ઉપાયો દ્વારા પૂર્ણ થશે મનોકામના !

Sharad Purnima (symbolic image)

હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું (sharad purnima) એક આગવું જ મહત્વ છે. શરદ પૂર્ણિમાને જાગૃત પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્ર દેવતા અને માતા લક્ષ્મીની (Goddess lakshmi) પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. તો ચાલો, આજે એવા જ વિધિ-વિધાન વિશે માહિતી મેળવીએ. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાંથી જે અજવાશ નીકળે છે તે અમૃત સમાન માનવામાં આવે છે. માન્યતા એવી છે કે આ દિવસે ચંદ્ર દર્શન અને પૂજન કરવાથી વ્યક્તિને નિરોગી શરીરના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સાથે જ એક પૌરાણિક કથા અનુસાર માતા લક્ષ્મીનો જન્મ સમુદ્રમંથનમાંથી (Samudramanthan) શરદ પૂર્ણિમાના દિવસે જ થયો હતો એટલે શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીના પૂજનથી ધન-ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવીને તમે ઘણી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો. તો ચાલો, જાણીએ એ ઉપાયો વિશે.

સરળ ઉપાયથી શુભાશિષ

⦁ શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમાંથી અમૃત સમાન કિરણોની વર્ષા થતી હોવાની માન્યતા પ્રચલિત છે. અને એટલે જ આ રાત્રિએ ચંદ્રદર્શન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. કહે છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્રનું ત્રાટક કરવાથી આંખ સંબંધિત વિકાર દૂર થઈ જાય છે.

⦁ એક માન્યતા અનુસાર શરદ પૂનમની રાત્રે ચંદ્રના અજવાળામાં બેસવાથી શરીરમાં રહેલ જીવાણુંઓનો નાશ થઈ જાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.

⦁ શરદ પૂર્ણિમાએ દૂધ-ચોખાની ખીર (અથવા દૂધ-પૌંઆ) બનાવીને સ્વચ્છ કપડાથી ઢાંકીને આખી રાત ચંદ્રના અજવાળામાં રાખવી જોઇએ. આ ખીરને આરોગવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે.

⦁ શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કાર્તિકેય ભગવાનના પૂજનથી કુંવારી કન્યાઓને મનોવાંચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.

⦁ શરદ પૂર્ણિમા એ દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ મનાય છે, અને એટલે જ આ રાત્રે જાગરણ કરીને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ શરદ પૂર્ણિમાએ માતા લક્ષ્મીને ગુલાબી રંગના પુષ્પ, સુગંધિત અત્તર અવશ્ય અર્પણ કરવું જોઇએ. તેનાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે.

⦁ શરદ પૂર્ણિમાએ અષ્ટલક્ષ્મીના પૂજનનું વિધાન છે. કહે છે કે આ દિવસે અષ્ટલક્ષ્મીની આરાધના કરવાથી માતાજી આપની તિજોરીમાં ધન ખૂટવા નહીં દે !

⦁ આ દિવસે માતા લક્ષ્મીને ખીર, મખાના, પતાશા અને સફેદ વસ્ત્ર અર્પણ કરવા જોઇએ. તેનાથી આપને માતા લક્ષ્મી દ્વારા ધન-ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.