વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

વડોદરામાં નવલખી મેદાનમાં PM મોદીના સભા સ્થળે જ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયા ઝોકા ખાતા નજરે પડ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સંબોધન કરી રહ્યા હતા અને બાજુની ખુરશીમાં બેઠા બેઠા કેયુર રોકડિયા ઉંઘી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી બોલતા રહ્યા ને બાજુમાં બેઠેલા ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયાએ 10થી વધુ ઝોકા ખાધા હતા.
કેયુર રોકડિયાના ચહેરા પર થાક દેખાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસમાં ત્રણથી ચાર સભાઓ સંબોધિત કરી રહ્યા છે અને યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. તેઓ રાજ્યમાં ભાજપના એક-એક ઉમેદવાર માટે ઝંઝાવાતી પ્રચાર કરે ત્યારે બીજી તરફ વડોદરાની સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર અને શહેરના મેયર એવા કેયુર રોકડિયાના ચહેરા પર અત્યારથી જ થાક દેખાયો હતો અને પ્રદેશના મંત્રી તેમજ શહેર પ્રમુખ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રહ્યા અને ઉમેદવાર ઝોકા ખાતા જોવા મળ્યા હતા.

નરેન્દ્ર મોદીની નવલખી મેદાનમાં સભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે સાંજે 4 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં સભા યોજાવાની છે. જેમાં તેઓ ભાજપના વડોદરા શહેર અને જિલ્લાના ઉમેદવારો માટે પ્રચાર કરવાના છે. જેની તૈયારીઓના ભાગ રૂપે આજે નવલખી મેદાન કે જ્યાં વડાપ્રધાન સભાને સંબોધિત કરવાના છે ત્યાં જ ડોમ પાસે આજે સાંજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
મોદી એક જ દિવસમાં ત્રણ સભા સંબોધશે
આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેરના ભાજપ પ્રમુખ વિજય શાહ અને ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ વડાપ્રધાન મોદી અથાક પરિશ્રમ કરી દિવસમાં ત્રણથી ચાર સભાઓ સંબોધિત કરી રહ્યા છે. તેઓ દાહોદથી સીધા વડોદરા આવશે અને ત્યાર બાદ ભાવનગર જશે તેવી માહિતી આપતા હતા. ત્યારે તેમની બાજુની ખુરશીમાં બેઠેલા સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદરવા અને મેયર કેયુર રોકડિયા કે જેમના પ્રચાર માટે વડાપ્રધાન અહીં આવવાના છે તેઓ જ ઉંઘતા નજરે પડ્યા હતા. હજું તો પ્રચારની શરૂઆત થઇ છે અને 11 દિવસ જાહેર પ્રચારના બાકી છે ત્યારે કેયુર રોકડિયા એટલા થાકેલા દેખાયા હતા કે રીતસરના ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં ઉંઘતા હતા.

ભાજપા કાર્યકરો ચોંકી ઉઠ્યા
કહેવાય છે કે, સયાજીગંજ બેઠક ઉપર ટિકીટ મેળવવા માટે પૂર્વ મેયર ભારત ડાંગરે એડીચોટીનું જોર લગાવ્યું હતું. સર્વત્ર ભરત ડાંગરનું નામજ ચર્ચાતુ હતું. તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પણ અંગત મનાતા હતા. તેઓ વડોદરા શહેર-જિલ્લા સહિત આસપાસના જિલ્લામાં સી.આર. પાટીલ આવે ત્યારે તેઓના નજીકમાં રહેતા હતા. અને તેમની તમામ પ્રકારની સરભરામાં રહેતા હતા. છતાં, ભાજપા મોવડી દ્વારા તેમનું પત્તુ કાપી વડોદરા શહેરના મેયર કેયુરને ઉમેદવાર તરીકે જારેર કરતા દાવાદોરમાં તો ઠીક ભાજપા કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા.
ફાઇટ આપી શકશે નહિં
સયાજીગંજ બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા સ્વેજલ વ્યાસને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સ્વેજલ વ્યાસ એક પાયાના સામાજિક કાર્યકર છે. પરંતુ, તેઓ તેમના વિસ્તારમાં ચોક્કસ ભાજપા-કોંગ્રેસના મતદારો ઉપર અસર કરશે. આ બેઠક ઉપર ત્રિ-પાંખીયો જંગ ચોક્કસ છે. પરંતુ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસરકારક ફાઇટ આપી શકે તેમ લાગતું નથી. આથી બે મુખ્ય પક્ષો વચ્ચેજ જંગ જામશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દૂધપાક જેવા પુરવાર થશે.

વચનો અને વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ
ઉલ્લેખનિય છે કે, સયાજીગંજ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર થયેલા કેયુર રોકડીયાએ મેયર પદેથી આપેલા વચનો પૈકી એક પણ વચનમાં ખરા ઉતર્યા નથી. વડોદરાનો સૌથી મોટો ગાયોનો પ્રશ્ન 15 દિવસમાં હલ કરવાની વાત કરી હતી. પરંતુ, આજે પણ ગાયોનો પ્રશ્ન યથાવત છે. આવા અનેક વચનો આપેલા છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનના વિપક્ષી નેતા અમી રાવતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓની વિપક્ષ તરીકેની ભૂમિકા કોંગ્રેસ કાર્યકરોમાં ચર્ચાસ્પદ રહી છે.