રાજકોટ31 મિનિટ પહેલા
વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રની તમામ બેઠકો અંકે કરવા ભાજપ, કોંગ્રેસ અને AAPનું હાઇ કમાન્ડ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધિત કરશે. તેમના આગમન પૂર્વે જ રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની પેનલમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પરષોત્તમ સગપરીયાની આગેવાનીમાં 150 જેટલા સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. આ મુદે પરષોત્તમ સગપરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે,’રાહુલથી કંઈ નહીં થાય’

સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા
વનવાસ પૂરો હવે કામ કરીશું
વધુમાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે,મૂળ તો હું ભાજપનો જ કાર્યકર છું. અને પાયાનો કાર્ય કરતો હતો. હું કોંગ્રેસમાં લોકોની સેવ કરવા ગયો હતો પરંતુ કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી. જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે તેનાથી કંઈ નહીં થાય તેની સભામાં માણસો પણ નહીં થાય. કોંગ્રેસમાં 12 વર્ષ સુધી વનવાસમાં જ રહ્યા છીએ,વનવાસ પૂરો હવે કામ કરીશું’

કોંગ્રેસ છોડી કાર્યકરો વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા

કોંગ્રેસમાં કોઈ કામ થતાં નથી: કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પરષોત્તમ સગપરીયા
વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા
નોંધનીય છે કે આ પક્ષપલટામાં કોંગ્રેસના સિનિયર આગેવાન વોર્ડ નં.17ના અગ્રણી પરષોત્તમ સગપરીયા, વોર્ડ નં.18ના આગેવાન હસુભાઇ સોજીત્રા, શહેર કોંગ્રેસ મંત્રીચંદુભાઇ ટીલાળા, વોર્ડ નં.18ના આગેવાન પરેશભાઈ સભાયા, વોર્ડ નં.18ના આગેવાન અક્ષયભાઈ મહીધરિયા, વોર્ડ નં.13ના આગેવાન પ્રતાપભાઇ રામોલીયા, વોર્ડ નં. 18ના ઉપપ્રમુખ કોંગ્રેસ જીગ્નેશભાઈ માધાણી, વોર્ડ નં.18ના આગેવાન હંસરાજભાઈ વાછાણી, વોર્ડ નં.18ના આગેવાન દિલીપભાઈ બુસા અને વોર્ડ નં.18ના આગેવાન નિલેશભાઈ વિરડીયા સહીત 150 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. અને કોંગ્રેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતે ગાજતે ભાજપ કાર્યાલયમાં પહોંચ્યા હતા. જયાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, નેતા ધનસુખ ભંડેરી અને દક્ષિણ બેઠકના ઇન્ચાર્જ જીતુ કોઠારી સહીતનાએ કાર્યકરોને આવકાર્યા હતા.

150 કાર્યકરો ભાજપમાં જોડાયા
અશોક ગેહલોતે સભાસ્થળની મુલાકાત કરી
આજે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાનાર છે. આથી કોંગ્રેસના હાઈકમાન્ડથી માંડી સ્થાનિક નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે. શનિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજકોટ આવીને સભાસ્થળની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં નરેન્દ્ર મોદીએ ધોરાજીમાં કોંગ્રેસમાં નેતાના નામ લીધા વગર કટાક્ષ કર્યા હતા તેનો જવાબ આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રામાં એક સમયે પાણીનો વિરોધ કરનાર વ્યક્તિના ખંભે હાથ રાખી કોંગ્રેસ ફરી રહી છે. જો કે તેના જવાબમાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા કોંગ્રેસની નથી, ભાજપ ગભરાયું છે. મેઘા પાટકરને અમે રોકી ન શકીએ, NGO તરીકે આવ્યા હતા, મોદીએ મોંઘવારીની વાત કરવી જોઈએ.

મોં મીઠું કરી કાર્યકરોને આવકાર્યા
કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ છે. કેજરીવાલ અહીં આવીને ખોટા વાયદા આપે છે. ગુજરાત સરકાર આખી બદલવી પડી છે. મોરબી દુર્ઘટનામાં કોઈ ખાસ એક્શન લેવામાં આવ્યા નથી. વડાપ્રધાન મોદીને અહીંયા દર અઠવાડિયે આવવું પડે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ બોખલાયો છે. મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીના મોરલ સપોર્ટમાં આવ્યા હતા. મોંઘવારી અંગે વાત કરવી જોઈએ, ભાજપના પોતાના જ રાજ્યમાં આ સ્થિતિ છે. રાહુલ ગાંધીની યાત્રા બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં તેમજ લોકો સાથે પ્રેમ વધે તેને લઈને છે.

રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો
ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ ગઈ
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, મોદી અને અમિત શાહનું રાજ્ય છે અને ત્યાં પુલ તૂટવાની દુર્ઘટના બને છે. અઠવાડિયે અહીં તેઓએ આવવું પડે છે. લાંબા સમયથી કોંગ્રેસે ગુજરાતની સેવા કરી છે. આ વખતે ચોંકાવનારા પરિણામ સામે આવશે. વડાપ્રધાનને હિમાચલપ્રદેશમાં ચૂંટણી ન લડવા માટે નેતાને ફોન કરવા પડે છે. સરકાર કોંગ્રેસની જ બનશે. રાહુલ ગાંધીની યાત્રા બાદ દેશમાં જે માહોલ બન્યો છે તે ખૂબ સારો છે. ગુજરાતની અંદર 27 વર્ષ બાદ ભાજપે ગૌરવ યાત્રા કાઢી તો નિષ્ફળ ગઈ છે.

કોંગ્રેસના નેતાઓના રાજકોટમાં ધામા.
કોંગ્રેસ તેમની રીતે લડી રહી છે
અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ તેમની રીતે લડી રહી છે. ઝેરી દારૂમાં 70 લોકો માર્યા ગયા પણ કોઈ તપાસ જ નહીં. મોરબીમાં 135 લોકોના મોત થયા તેમાં પણ એક્શન લેવામાં આવ્યા નથી. કોંગ્રેસ પ્રેમની રાજનીતિ કરે છે. યાત્રા કોંગ્રેસ નથી ભારતના લોકો માટે છે.

શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.
રાહુલ ગાંધીની સભાને લઈ કોંગ્રેસમાં પૂરજોશમાં તૈયારી
આજે સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધીની સભા યોજાનાર છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે.