2 મિનિટ પહેલા
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપ ખરાખરીના જંગમાં ચૂંટણી પ્રચારમાં ઊતરશે. ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. જેમાં રાજકોટ ,અંજાર પાલીતાણા અને જામનગરનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુનનો પણ આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ મહેસાણા અને અમદાવાદના બહેરામપુરામાં જનસભા સંબોધશે. તો કેજરીવાલ પણ આજે સતત બીજા દિવસે ગુજરાતમાં છે. તેઓ સુરતના કતાર ગામ રોડ શો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેરાલુ, સાવલી ભિલોડા અને અમદાવાદના નારાણપુરામાં સભા સંબોધશે .જ્યારે પંજાબના સીએમ ભગવંત માન બાલાસિનોર, લુણાવાડા, ડાકોર-ઠાસરા અને વડોદરામાં એમ 4 સ્થળે રોડ શો કરશે.
સુરતમાં PM મોદીનો મેગા રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઈ આજે સુરત આવ્યાં રહ્યા છે. મીની રોડ શો શરૂ થઈ ગયો છે. ત્યારે પ્રધાનમંત્રીને આવકારવા રસ્તાઓ મોદી સમર્થકોથી ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા સુધી રોડ મારફતે જઈ રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રીના સમગ્ર રૂટ પર રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોવા મળ્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા છે. પ્રધાનમંત્રીના રસ્તાનો રૂટ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યો છે.

મોદી સાહેબ વોટ માટે ગલી ગલી અને વોર્ડ વોર્ડ ફરી રહ્યા છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં બાપુનગર ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રથમ જાહેર સભા હતી. જેમાં મલ્લિકાર્જુન ખડકે ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કરીને પ્રહાર કર્યા હતા.મલ્લિકાર્જુન ખડકે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન છે તે ગુજરાતનું ઇલેક્શન છે પરંતુ કોઈ પ્રાઇમ મિનિસ્ટરનું ઇલેક્શન નથી તેમ છતાં પણ નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે. શું નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટરની સીટ છોડીને ફરીથી ગુજરાતના સીએમ બનવા માટે પ્રચાર કરી રહ્યા છે? ગુજરાતના ઉમેદવારો પોતાનો વોટ માંગે કે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા ત્યાં સુધી ઠીક હતું. પરંતુ મોદી સાહેબને ગલી ગલી અને વોટ માટે વોર્ડ વોર્ડ ફરી રહ્યા છે એનો મતલબ કંઈક ગડબડ છે. પ્રાઇમ મિનિસ્ટર એ પોતે પોતાનું કામ છોડીને વિદેશના કામ છોડીને 15-15 દિવસ સુધી અહીં રહે છે. એનો મતલબ બીજેપી ક્યાંકને ક્યાંક નબળી પડી છે.

બીજેપીને આ વખતે શેનો ડર લાગી રહ્યો છે?
મલ્લિકાર્જુન ખડકે વધુમાં કહ્યું હતું કે, આસામથી લઈને કર્ણાટક સુધી જ્યાં જ્યાં બીજેપીની સરકાર છે ત્યાં ત્યાં તમામના મિનિસ્ટરો અહીં ગુજરાતમાં આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બીજેપીને આ વખતે શેનો ડર લાગી રહ્યો છે? દેશના વડાપ્રધાન, દેશના હોમ મિનિસ્ટર બધા જ ખુદ તો પરેશાન છે પરંતુ અહીં આવીને ગુજરાતની પ્રજાને પણ પરેશાન કરી રહ્યા છે. માટે હું ગુજરાતની જનતાને કહું છું કે એમણે સચિત થવાની જરૂર છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે ગુજરાત પર માત્ર 10,000 કરોડ દેવું હતું. જ્યારે આવનારા દિવસોમાં 4 લાખ 64 હજાર કરોડ દેવુ થવાનું છે. બીજેપીની સરકારે દરેક જીવન જરૂરિયાતની વસ્તુ પર જીએસટી લગાડવામાં આવ્યો છે.બીજેપીની સરકાર ડબલ એન્જિનની વાત કરી રહી છે પરંતુ આ લોકોના તમામ એન્જિન ફેઇલ છે. કોરોનામાં સીએમ બદલવાની જરૂર પડી તો કઈ રીતે ભાજપ પોતાનું ગુજરાત મોડલ સફળ બનાવી શકી? હું ગુજરાતની પ્રજાને અપીલ કરવા માગું છું કે બીજેપીએ તમારી પાસે આવીને જે ખોટા વાયદાઓ કર્યા છે એમાં ફસાશો નહીં. આ વખતે એક મોકો કોંગ્રેસના આપો અને જરૂરથી બદલાવ આવશે. ગરીબ લોકો માથું ઉઠાવીને જીવી શકશે અને આમ આદમી પણ સ્વાભિમાનથી જીવી શકશે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ડીવાયડેડ રૂલના નિયમનો ઉપયોગ કરે છે અને લોકોને જાતિ જાતિ અને ધર્મના નામે ઝઘડા કરાવી રહી છે. રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રામાં નીકળ્યા છે તેનાથી દેશ મજબૂત બનશે અને આ વખતે કોંગ્રેસને ચાન્સ આપીને પરિવર્તન લાવો.

ભાજપ કાર્યાલય ખાતે મોડી સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રીની બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ શહેરની સોળ વિધાનસભા બેઠકમાં કેટલીક બેઠકો પર ભાજપ નબળું જણાઈ રહ્યું છે. ત્યારે આજે મોડી સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ શહેરના ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે પહોંચ્યા હતા. શહેરના કાર્યકારી પ્રમુખ પરેશ લાખાણી, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર પ્રદીપસિંહ જાડેજા તેમજ એલિસબ્રિજ, જમાલપુર, દરિયાપુર અને દાણીલીમડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પણ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શહેરના હોદ્દેદારો અને ભાજપના ઉમેદવારો સાથે બેઠક કરી વિધાનસભા બેઠક પર કેવી પરિસ્થિતિ છે અને જીત માટેના સમીકરણો અંગે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમાલપુર, દરીયાપુર અને દાણીલીમડા વિધાનસભા બેઠક પર ભાજપ નબળી જણાય છે. ત્યારે તે બેઠકને કબજે કરવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
કેજરીવાલના રોડ શોના રૂટ પરની ઝંડીઓ- બેનરો ઉતારાતા વિરોધ
વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીનો રોડ શો છે. તેમના રોડ શોના રૂટ પર જામનગર મહાનગરપાલિકાએ આમ આદમી પાર્ટીએ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી લીધી હતી. પરંતુ આપનો આક્ષેપ છે કે મંજૂરી લીધા બાદ પણ જેએમસી દ્વારા હોડિંગ્સ તેમજ ઝંડી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, જામનગર ઉત્તર પર રીવાબા સામે ઊભેલા આપના વિધાનસભા ઉમેદવાર કરસન કરમુર જવાબદાર અધિકારીને મળ્યા હતા. ત્યારબાર ત્યાં જ સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેસી ગયા હતા. જામનગરના ઇતિહાસમાં કોઈપણ રાજકીય નેતા આવતા હોય ત્યારે તેના રૂટ પર લગાવેલા બેનર ઝંડીઓ દૂર કરવાનો આ પ્રથમ બનાવ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

જયનારાયણ વ્યાસે સિધ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે 20 દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે અને સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.

ગેહલોત સાથેની મુલાકાત ચર્ચામાં રહી
એક તરફ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદ જાહેર કરી અને તેના થોડા સમય બાદ જ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા. રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિધ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરશે એવી ચર્ચા હતી. જોકે, વ્યાસે ગેહલોત સાથેની તેમની મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.