12 મિનિટ પહેલા
પ્રથમ તબક્કાની ચૂંટણીની આડે 1 દિવસ બચ્યો છે, ત્યારે પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પૂરો થયો છે. જો કે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હાલ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ શહેરમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાવલીમાં સભાને સંબોધશે.
અમદાવાદમાં ભાજપનું કાર્પેટ બોમ્બિંગ
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સવારે અમદાવાદમાં બહેરામપુરાના મેલડી માતાના મંદિરથી અને ખેડાના નડિયાદ રેલવે સ્ટેશનથી રોડ શો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કડાણાના દિવડા કોલોનીમાં ઈરિગેશન ગ્રાઉન્ડ દિવડા હાઈસ્કૂલ સામે દિવડા કોલોની, માણસામાં ચંદ્રાસર ચોક તખતપુરા અને અમદાવાદના મોહન સિનેમાથી કલાપીનગર છેલ્લા બસસ્ટેશન સ્ટેન્ડ અસારવા સુધી રોડ શો કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાન ચાર રસ્તાથી રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કરશે.
પ્રવીણ રામ ‘આપ’ના પ્રદેશ ઉપાધ્યક્ષ, રેશ્મા પટેલ પ્રવક્તા
આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રદેશ સંગઠને પોતાના માળખામાં 62 નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. આહીર નેતા પ્રવીણ રામને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે, જ્યારે એનસીપીમાંથી આવેલાં રેશ્મા પટેલને પ્રદેશ પ્રવક્તા બનાવાયા છે. અન્ય નેતા રાજીબેનને સહમંત્રી અને બ્રિજ સોલંકીને પક્ષના યુવા મોર્ચાના પ્રમુખ બનાવાયા છે. તે સિવાય આપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે જાવેદ આઝાદ કાદરીની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીએ નવા માળખામાં આદિવાસી જિલ્લાઓમાં ઢગલાબંધ હોદ્દેદારોની વરણી કરી છે.
રાધિકા જીમખાનામાં AK-47થી ફાયરિંગ થયું હતું
કોઈની હિંમત નથી થઈ કે, રથયાત્રા પર કાંકરીચાળો કરે
અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જંગી સભા યોજાઈ છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, ઘણા સમયે હું અમરાઈવાડીમાં આવ્યો છું. અમરાઈવાડીને જય શ્રી રામ કહેવા આવ્યો છું. ભુપેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાવવા મત આપવાનો છે. આપ ડે સૌ નાગરિકોને જૂનું અમદાવાદ યાદ કરાવવા આવ્યો છું. યાદ છે ને.. રાધિકા જીમખાનામાં AK-47થી ફાયરિંગ થયું હતું, કાંકરિયા લેકફ્રન્ટ હવે કેવો લાગે છે? આ તો ભાજપે ચારેકોર વિકાસની સુવાસ ફેલાવી છે. અત્યારે જ કહું છું 1 જાન્યુ. 2024ની અયોધ્યાની ટિકિટ બુક કરાવી લો રામ મંદિર તૈયાર હશે,2036નું ઓલમ્પિક અમદાવાદમાં આવશે. 2002માં રમખાણો થયા અને એવો સબક શિખવાળ્યો કે, રમખાણો કરવાવાળા એ ઘડી અને આજનો દિવસ એ ખો ભૂલી ગયા છે. આજે 2002થી 2022 સુધીમાં કોઈની હિંમત નથી થઈ કે, રથયાત્રા પર કાંકરીચાળો કરે. આનબાન શાનથી રથયાત્રા નીકળે છે. ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. રાધિકા જીમખાનાની અંદર AK-47ની ગોળીઓ ચાલી. ભાજપ સરકારે ગુજરાતમાં ઘુસણખોરી અને દાણચોરી બંધ કરી. કોંગ્રેસ સરકારે રમખાણો અને દાણચોરી માટે ખોલી અસલામત બનાવ્યું. બેગમ અને બાદશાહના શહેરને કર્ણાવતી બનાવવાનું કામ ભાજપ સરકારે કર્યું છે
CM યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને AAPને સુરક્ષા માટે ખતરો ગણાવી
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ મંગળવારે પ્રચાર માટે ડભોઈ આવ્યા હતા. જ્યાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કોઈ વિચારી શકતુ હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે? 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો. પણ આજે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 1 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર બની જશે, ત્યારે દરેક ભારતીયને ગૌરવ થશે. ભાઈઓ બહેનો આ આસ્થાનું સન્માન છે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ બંને સુરક્ષા માટે ખતરો છે. યુપીમાં કોંગ્રેસના 2 જ ધારાસભ્યો છે. રામ નામ સત્ય હૈ માટે પણ 4 જોઈએ છે. બધા સર્વે કહે છે કે, ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. આ વિજય પણ ઐતિહાસિક હશે. સંકટ સમયે તમારી સાથે ઉભો હોય તે સાચો હિતૈશી છે. કોરોના સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગાયબ હતી. પ્રધાનમંત્રી લોકોની સેવામાં હાજર હતા. ભાજપ એક માત્ર એકમાત્ર પાર્ટી હતી, જે કહેતી હતી કે, સેવા જ સંગઠન છે.