ગીર સોમનાથ (વેરાવળ)25 મિનિટ પહેલા
વિધાનસભા ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પોલીસ તંત્રની સક્ષમતાનું તમામને ભાન થાય તે હેતુસર મોડી સાંજે જિલ્લાના પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ મોટા કાફલા સાથે જિલ્લા મથક વેરાવળ-સોમનાથના રાજમાર્ગે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યુ હતુ. આ ઉપરાંત મતદાનના દિવસે જિલ્લાના તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુસર 4800 જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાનું આયોજન કરાયું હતુ.
ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેનું આયોજન
ચૂંટણી પ્રચારના ભૂંગડા બંધ થયા બાદ મોડી સાંજે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ પોલીસની ઇન્સ્પેક્ટર, વિવિધ બ્રાન્ચો, સર્વેલન્સ સ્કોડ, સહિતના મોટા કાફલા અને પોલીસ વાહનો સાથે જોડીયા શહેરના રાજમાર્ગો ઉપર અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ દ્વારા આયોજન કરાયું છે. પોલીસ કોઈપણ ચમરબંધીને નહીં છોડે પછી તે કોઈપણ નેતાનો અંગત હોય કે પોતાના વિસ્તારનો બાહુબલી બધાને સ્પષ્ટ સંદેશ આજના પેટ્રોલીંગ થકી આપવામાં આવ્યો હતો.
114 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા
તા.1લી ડીસેમ્બરના મતદાનના દિવસે સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા નિર્ભય રીતે શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરડી, એસઆરડી, હોમગાર્ડ, પેરા મીલીટરી ફોર્સના જવાનો મળી કુલ 4800 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાશે. આ ઉપરાંત શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કોઈ અસામાજીક તત્વ ટીખળગીરી ન કરે તે માટે અત્યાર સુધીમાં 46 શખ્સો સામે પાસાની 114 શખ્સોને તડીપાર કરવામાં આવ્યા છે. તેમજ 4 હજારથી વધુ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યું હોવાનું પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.