વડોદરા13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વેપારી સાથે ઠગાઈ કરી હતી, રણુ ભરવાડની પણ શોધખોળ
- 8 મહિના પહેલાં અમદાવાદના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી
2.81 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા માથાભારે રણુ ભરવાડના સાગરીત રાધે બાપુની આગોતરા જામીન અરજી અત્રેની અદાલતે ફગાવી દીધી છે. અમદાવાદ રહેતા નુપલ નરેન્દ્રભાઇ શાહે 8 મહિના અગાઉ ક્રાઈમ બ્રાન્ચ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આગોતરા જામીન નામંજૂર થતાં પોલીસે રાધે બાપુની શોધખોળ શરૂ કરી છે.
રણુ ભરવાડે અમદાવાદના વેપારીને મોટી કમાણીની લાલચ આપી હતી. એ માટે ફાઇનાન્સ મંત્રાલય, સીબીઆઇ, આરબીઆઇ સહિત બેંકોના નકલી કાગળો બતાવીને 2.81 કરોડની છેતરપિંડી કરી હતી. વેપારીના સંપર્કમાં આવેલા રણુ ભરવાડે સૌ પ્રથમ રાજગુરુ રાધે બાપુનો ભેટો કરાવ્યો હતો અને બાદમાં આ ટોળકીએ તબક્કાવાર પ્રદીપ શાહુ, મનોજ નિકમ, જીતેન્દ્ર ઉર્ફે પપ્પુએ મળી રાધે બાપુને મધ્યસ્થી બેંગલોરના જીબી સુધીન્દ્ર સાથે મુલાકાત કરાવી હતી.
રાધે બાપુને ઝઘડિયા આશ્રમ બનાવવા અને સિંગાપોરની કંપનીમાં રોકાણના બહાને 2.81 કરોડની છેતરપિંડી અંગે ક્રાઈમ બ્રાન્ચમાં નુપલ શાહ દ્વારા લાંબા સમય અગાઉ અરજી આપી હતી, જેના 8 મહિના બાદ ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીના આ મામલામાં અગાઉ અનેક આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ રણુ ભરવાડ અને રાધે બાપુ પોલીસની પહોંચથી બહાર હતા. પોલીસ આરોપીઓને શોધી રહી હતી તે દરમિયાન અત્રેની અદાલતમાં આરોપી રાધે બાપુએ આગોતરા જામીન અરજી મૂકી હતી, જેને સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.