વડોદરા18 મિનિટ પહેલા
- કૉપી લિંક

સંસારીપણામાં ફેશન ડિઝાઈનીગમાં માસ્ટર થયેલ દીકરીએ 24 વર્ષની વયે દોઢ વર્ષ પુર્વે દીક્ષા લીધી હતી. બે દિવસ પહેલાં કરજણ પાસે માર્ગ અકસ્માતમાં કાળધર્મ થયો. જેથી જૈન સમાજમાં આઘાતની લાગણી પ્રવર્તી રહી છે. અકસ્માત પણ જાણીબુઝીને કરવામાં આવ્યો હોય તેવી શંકા સેવવામાં આવી રહી છે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
દરમ્યાનમાં દર વર્ષે 15 થી 20 સાધુ સાધ્વીજી ભગવંતો આવી રીતે કાળધર્મ પામે છે ત્યારે જૈન સમાજ તથા ભારતભરના જૈન સંઘોની શું જવાબદારી છે?અને જૈન સંઘોનું શું ઉત્તર દાયિત્વ હોવું જોઈએ? વિષય ઉપર આચાર્ય રત્નચંદ્રસુરી તથા આચાર્ય ઉદય રત્નસુરી મહારાજ સાહેબની નિશ્રામાં 27 નવેમ્બર રવિવારે સવારે નવ વાગ્યે અલકાપુરી જૈન સંઘ ખાતે એક વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિહાર સેવા ગ્રુપ, તમામ જૈન સંઘો, વકીલોને આમંત્રણ અપાયું હોવાનું અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય રત્નચંદ્રસુરી તથા આચાર્ય ઉદય રત્નસુરી મહારાજ સાહેબ ખૂબ જ જાણીતા વિદ્વાન તથા કવિ પણ છે અને તેઓએ એક હજારથી પણ વધારે જૈનધર્મ અંગેની વિશિષ્ટ રચનાઓ કરેલી છે. તેઓનું સામૈયુ રવિવારે સવારે સાત વાગે કરવામાં આવશે ત્યારબાદ તેઓ માર્મિક વ્યાખ્યાન ફરમાવશે. જેમાં મુંબઈના જાણીતા સુગમ સંગીતકાર જયદીપ સ્વાદિયા પણ રવિવારે પધારશે તેમ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું છે.