Gujarat Election 2022: કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના ગુજરાત ચૂંટણી સમયે વડાપ્રધાન મોદી વિશે આપેલા નિવેદનને ગુજરાતના અપમાન સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. આ મુદ્દે હવે રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પીએમ મોદીની રાવણ સાથે કરેલી સરખામણીવાળા નિવેદનને કારણે દેશની રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. વિજય રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાનની સરખામણી રાવણ સાથે કૉંગ્રેસે કરી છે. જે ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાતના લોકો આ નિવેદનને સહન નહીં કરે. આ નિવેદનને કારણે કૉંગ્રેસને ખૂબ જ નુકસાન થશે.
શું કહ્યું હતુ મલ્લિકાર્જુન ખરગેએ?
ગુજરાત ચૂંટણી માટે પ્રચારમાં રહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. સોમવારે અમદવાદમાં એક ચૂંટણીસભા દરમિયાન તેમણે કહ્યું કે શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢા છે? મને સમજાતુ નથી. આ અગાઉ રવિવારે સુરતમાં એક જાહેરસભામાં ખરગેએ પોતાને અછૂત અને પીએમ મોદીને જુઠ્ઠાણાના સરદાર ગણાવ્યા હતા.
ખરગેએ પોતાને ગણાવ્યા અછૂત
મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યુ કે વડનગરના રેલવે સ્ટેશને ચા વેચવાથી લઈને વડાપ્રધાનના પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદી અવારનવાર તેમના સંઘર્ષ, ગરીબી અને ચા વેચવાની સ્થિતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સીધું જ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદી હંમેશા પોતે ગરીબ હોવાનો દાવો કરે છે, પરંતુ હું તો ગરીબથી પણ વધુ ગરીબ છું. અમે તો અછૂત ગણાઈએ છીએ. કમ સે કમ તમારી ચા તો કોઈક પીવે છે, અમારી તો ચા પણ કોઈ નથી પીતું. પીએમ મોદી આવું બોલીને લોકોની સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે લોકો હોમશિયાર થઈ ગયા છે.