નવસારી9 મિનિટ પહેલા
વિધાનસભા ચૂંટણીમાં જાતિગત સમીકરણને ધ્યાને રાખીને ઉમેદવારો અને નેતાઓ સ્ટાર પ્રચારકોની પસંદગી કરતા હોય છે. પ્રાંતવાદ અને ક્ષેત્રવાદ હંમેશા રાજનીતિ પર હાવી રહ્યા છે. ત્યારે 2012ની ચૂંટણીમાં જલાલપુરના કોંગ્રેસના ઉમેદવાર રણજીત પંચાલ વિજલપુર વિસ્તારમાંથી માઇનસ વોટીંગ થતાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.આ વખતે ફરીવાર મરાઠી મતદારો પર વિશ્વાસ રાખી વિજલપોરનાં મતદારોને પ્રભાવિત કરવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની સભા વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં યોજી હતી.

જલાલપુર વિધાનસભા બેઠક છેલ્લા 27 વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. કોંગ્રેસના કદાવર નેતા સી.ડી પટેલને હરાવી જાયન્ટ કિલર બનેલા આર.સી પટેલ સતત જીત મેળવતા આવ્યા છે. પરંતુ રાજકારણમાં લાંબાગાળાની એન્ટી ઇનકમન્સી ક્યારેક નડતરરૂપ થતી હોય છે.2012 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બનેલા રણજીત પંચાલ માટે વિજલપોર અપશુકનિયાળ સાબિત થયું હતું અહીથી આર.સી પટેલ માટે મતદાન થતા પંચાલ 17500 વોટથી જલાલપુર બેઠક પરથી હારી ગયા હતા ત્યારે 2012 બાદ હવે તેઓ સીધા 10 વર્ષ બાદ 2022 ની ચૂંટણી રણ મેદાનમાં ઉતાર્યા છે.વિજલપોર આશરે 80,000 જેટલું વોટિંગ ધરાવે છે જેમાં મુખ્ય મતદારો મરાઠી, ઉત્તર ભારતીય,દક્ષિણ ભારતીય સહિત હળપતિ અને કોળી જાતિના મતદારો છે ત્યારે ખાસ કરીને મહારાષ્ટ્રના મતદારો પર પ્રભાવ પાડવા માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની એક સભા વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં યોજવામાં આવી હતી. આ સભામાં અશોક ચૌહાણ એ ભાજપ ઉપર પ્રહાર કરવાની બદલે આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યું હતું અને તેઓ સીધો ભાજપને ફાયદો કરાવશે તેવી વાત કરી હતી.

અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દિલ્હી જેવા નાના રાજ્યની પાર્ટી છે અને પંજાબમાં પણ તેમણે કેટલાક પ્રયોગો કર્યા છે પરંતુ દિલ્હી અને પંજાબ કરતાં ગુજરાતનું ગણિત અલગ છે તેઓ સ્પોઈલર છે અને સરવાળે ફાયદો ભાજપને જ કરાવી રહ્યા છે ગુજરાતની જનતા હોશિયાર છે અને તેઓ આમ આદમી પાર્ટી થી બચીને રહેશે આજે કોંગ્રેસ સતત આગળ ને આગળ વધી રહી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે.
