મોડાસા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વાત્રકની બંને નહેરમાં પાણી છોડાયું હોવાથી ઘઉંની વાવણી માટે ખાતરની તાતી જરૂર
- ખાતરના અભાવે સમયસર વાવણી ન કરતાં ખેડૂતોમાં ઉત્પાદન ઘટવાનો ભય
માલપુર, ઉભરાણ, અણિયોર અને બાયડના ગાબટ પંથકમાં ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતો દરદરની ઠોકરો ખાઈ રહ્યા છે. એક તરફ વાત્રક જમણા અને ડાબા કાંઠાની નહેરમાં રવિ પાકની સિઝનની વાવણી માટે પાણી છોડાયું છે. પરંતુ પાયાના ખાતરના અભાવે ખેડૂતો સમયસર વાવણી ન કરી શકતા રવિ પાકોમાં ઉત્પાદન ઘટવાની ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે જો કોઇ જગ્યાએ ખેતરની અછત હશે તો તપાસ કરાવી લઇશે.
માલપુર અને બાયડ તાલુકાના 25 કરતાં વધુ ગામોના મુખ્ય ખરીદ કેન્દ્ર તરીકે ગણાતા ઉભરાણ અને ગાબટમાં ડીએપી ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ખેડૂતોને સમયસર પાયાના ખાતરોનો જથ્થો મળી રહે તે માટે ઉભરાણ સેવા સહકારી મંડળીના ચેરમેન ગોપાલભાઈ મોહનભાઈ પટેલ અને સેક્રેટરી વિજયસિંહ ચૌહાણ છેલ્લા કેટલાય સમયથી 50 ટન ખાતરની માંગણી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. 60 વર્ષ જૂની સેવા મંડળીમાં ડીએપી અને એનપીકે ખાતર ન મળતાં ખેડૂત ખાતેદારો અને આજુબાજુના ગામડાના ખેડૂતો મંડળીમાં ધરમધક્કા ખાઈ રહ્યા છે.
મંડળીના ચેરમેન ગોપાલભાઈ પટેલે ડીએપી ખાતર તાત્કાલિક ખેડૂતોને મળે તે માટે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી. સેવા મંડળીના સેક્રેટરી વિજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સેવા મંડળી અને એગ્રોમાં ખાતર ન મળવાના કારણે ખાનગી દુકાનદારો ખેડૂતોને પાયાના ખાતરો સાથે અન્ય ચીજ વસ્તુઓ પધરાવતા હોવાની પણ બૂમ ઉઠી છે.
અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ પણ આ ખાડા કામ કરી રહ્યું હોવાથી ખેડૂતોની રઝળપાટ વધી ગઈ છે.પાયાના ખાતરના અભાવે ખેડૂતો સમયસર વાવણી ન કરી શકતા રવિ પાકોમાં ઉત્પાદન ઘટવાની ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે.ખાતરની અછત અંગે અરવલ્લી જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી આર.એસ.પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ખાતર તો બધે મળે જ છે છતાં હું તપાસ કરાવી લઉં છું આવતીકાલે રેન્ક લાગવાની છે.