સુરેન્દ્રનગર12 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ભોગ બનનારને મારી નાખવાની ધમકી આપી હતી
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ, આરતી રેવન્યુ-1 મકાન નંબર-7માં રહેતા કલ્પેશભાઈ દેવાભાઈ સિંધવ બિલ્ડીંગ કન્સ્ટ્રશન તેમજ વકિલતા અને જૂની કારની લે-વેચ કરે છે. આથી કલ્પેશભાઈએ સુરેન્દ્રનગરના વિશાલભાઈ નારાયણભાઈ ચંદારાણા અને નારાયણભાઈ ચંદારાણા પાસેથી એક ઓડી કાર ખરીદી જેનું તા. 26-1-2021ના રોજ વેચાણખત, ડિલીવરી નોટ અપાઇ હતી. આ ઉપરાંત વેન્ટો કાર પણ ખરીદી તેની ડિલીવરી નોટ, વેચાણખત કરાયુ હતુ. આથી બંને કારનો કબજો વિશાલભાઈ અને નારાયણભાઈએ કલ્પેશભાઈને આપ્યો હતો. જેની સામે કલ્પેશભાઈએ હુન્ડાઇ કાર બંનેને આપી હતી.કારના આ સોદા બાદ કલ્પેશભાઈને રૂ. 1.60 લાખ દેવાનું નક્કી થયુ હતુ. પરંતુ કલ્પેશભાઈએ લીધેલી કાર પ્રિમિયમ પ્રકારની હોવાથી પિતા-પુત્ર વધુ કિંમત લેવા માંગતા હોય બંને કારના અસલ દસ્તાવેજ આપતા ન હતા.
પરિણામે કલ્પેશભાઈએ તા. 3-8-2021ના રોજ બી-ડિવીઝન પોલીસ મથકે પિતા-પુત્ર સામે છેતરપિંડીની અરજી કરી હતી. અને ફરિયાદ દાખલ કરવા જણાવવા છતાં પોલીસ મથકે ફરિયાદ ન નોંધાઇ ન હતી. આથી કલ્પેશભાઈએ તા. 17-11-2021ના રોજ સુરેન્દ્રનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તા. 12-9-2022ના રોજ ચાલી જતા કોર્ટે બી-ડિવીઝન પોલીસ મથકના અધિકારીને આ બનાવની એફઆરઆઇ રજીસ્ટર કરી 45 દિવસમાં જરૂરી તપાસ અને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા કે ચાર્જશીટ કરવા હુકમ કર્યો હતો. બનાવમાં 16-11-2022ના રોજ વિશાલભાઈ નારાયણભાઈ ચંદારાણા અને નારાયણભાઈ ચંદારાણા તેમજ એક અજાણ્યા શખ્સ સામે વિશ્વાસઘાત-છેતરપિંડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.