Wednesday, November 23, 2022

Gujarat Election 2022: ગાંધીનગરમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના AAP પર પ્રહાર, "ઝાડુવાળા પોતાની પાર્ટીની જ સફાઈ કરશે"

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઇકાલે 22 નવેમ્બરે ગાંધીનગરમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

નવેમ્બર 23, 2022 | 9:42 A.M

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઇકાલે 22 નવેમ્બરે ગાંધીનગરમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી.

ગાંધીનગરમાં ભાજપની સભામાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.. કેજરીવાલને ટોણો મારતા માંડવિયાએ કહ્યું કે, મોદીજીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું ત્યારે ઝાડુવાળાની પાર્ટી અસ્તિત્વમાં પણ ન હતી અને તેઓ સફાઈની વાતો કરે છે.! તો બીજી તરફ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ કહ્યુ કે, કોંગ્રેસ છેલ્લી 4 ટર્મથી મેનિફેસ્ટોમાં ફ્રી આપવાની વાતો કરે છે. તેઓને સત્તામાં આવવું નથી એટલે માત્ર વાયદાઓની વાતો કરે છે.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપે 40 સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતાર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ પ્રચારકો ગુજરાતમાં પ્રચાર પણ કરી રહ્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.