Monday, November 14, 2022

Gujarat Election 2022 : દાવેદારોની નારાજગી દુર કરવા ભાજપનું ડેમેજ કંટ્રોલ ! કમલમમાં અમિત શાહે સ્થિતિની કરી સમિક્ષા

સતત 4 કલાકની મેરેથોન બેઠકમાં ડેમેજ કંટ્રોલને લઈ અને નારાજ નેતાઓને મનાવવા રણનીતિ ઘડાઈ હતી. તો બીજી તરફ બાકી રહેલા 16 ઉમેદવારોના નામોને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

નવેમ્બર 14, 2022 | 7:22 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનીઅધ્યક્ષતામાં કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી. 4 કલાકની બેઠકમાં ડેમેજ કંટ્રોલને લઈ અને નારાજ નેતાઓને મનાવવા રણનીતિ ઘડાઈ હતી. તો બીજી તરફ બાકી રહેલા 16 ઉમેદવારોના નામોને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. અને વઢવાણમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞા પંડ્યાએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા જગદીશ મકવાણાને ટિકિટ અપાઈ હતી.

બેઠકમાં નારાજ નેતાઓને મનાવવા માટે હાથ ધરાયા પ્રયાસો

ગુજરાત ઈલેક્શન 2022 : જામનગર બેઠક પર હકુભા જાડેજાને બદલે રિવાબાને ટિકિટ અપાતા નારાજગી વ્યાપી હતી. જેથી જામનગરના હકુભા જાડેજાને જામનગરની ત્રણેય બેઠકના ઇન્ચાર્જ બનાવ્યા હતા. તો વડોદરાની ત્રણ બેઠક પર નારાજગી ડામવા રાજેન્દ્ર ત્રિવેદીને પણ બેઠકમાં બોલાવ્યા હતા.. આ બેઠકમાં ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યા બાદ પાર્ટીમાં ઉભી થયેલી વર્તમાન સ્થિતિનો તાગ મેળવાયો હતો. તેમજ આગામી ચૂંટણી પ્રચાર માટે રણનીતિ ધડાઈ હતી.

મહત્વનું છે કે, વાઘોડિયાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. તેમજ રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા તેઓ ખુદ નારાજ ચાલી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે જ કરજણ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. વડોદરાના માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. તેમજ બંને સીટોના સીટિંગ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે. આથી ભાજપ દ્વારા હાલ ડેમેજ કંટ્રોલની મથામણ કરવામાં આવી રહી છે.

Related Posts: