ભુજ9 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભુજના મીરજાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા કોન્ટ્રાક્ટરના બે સફાઈ કામદારોના ગેસ ગૂંગળામણથી મોત થતા ચકચાર મચી છે. બુધવારે સાંજે ભૂગર્ભ ગટરમાં બંને સફાઈ કામદારો બેભાન થઈ જતા બંનેને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના કમકમાટીભર્યા મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. ઘટનાના પગલે હોસ્પિટલ પર વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. પરિવારજનોએ હાલ બંને મૃતકોના મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

ભૂગર્ભ ગટરની ચેમ્બર સાફ કરવા ઉતર્યા હતા ભુજના મીરજાપરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોન્ટ્રાક્ટરે ભરત શાંતિલાલ અઠવા અને રવિ રાજુભાઈ મારવાડી નામના યુવાનોને મોકલ્યા હતા. બંને યુવાનો ગટરની ચેમ્બર ઉતરતા જ ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. જેની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બંનેનું રેસ્ક્યૂ કરી સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

પરિવારજનોમાં આક્રંદ છવાયો ભુજના ભક્તિ પાર્કમાં રહેતા ભરત અઠવા અને રવિ મારવાડીના ગેસ ગુંગળામણના કારણે મોત થતા હોસ્પિટલ સંકુલમાં ઉપસ્થિત પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. તો બીજી તરફ ઉપસ્થિત લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

ઘટના અંગે જવાબદારી નક્કી કરવાની માગ બે સફાઈ કામદારોના મોતના પગલે હોસ્પિટલ પર સમાજના આગેવાનો અને પરિવારજનો પહોંચ્યા હતા. આ મામલે જે લોકોની બેદરકારી છે તેની સામે કાર્યવાહી માગ કરવામાં આવી છે. પરિવારજનોએ હાલ બંનેના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.