મુંબઈ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

- 21 કિલોમીટર લાંબા આ રોડના બાંધકામ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની 50 ટકા ભાગીદારી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેમાં જેએનપીટી નજીક 21 કિલોમીટરનો રસ્તો બાંધવાનો માર્ગ ખુલી ગયો છે. વિરાર-અલિબાગ મલ્ટિપર્પઝ રોડના પ્રથમ તબક્કાના 98.5 કિલોમીટરમાંથી મોરબેથી કરંજાડે વચ્ચેનો 21 કિલોમીટરનો માર્ગ દિલ્હી-મુંબઈ હાઈવે સાથે જ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માર્ગ બાંધવાનો ખર્ચ મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ અને નેશનલ હાઈવે ઓથોરિટી દરેક 50 ટકા આપશે. તાજેતરમાં પાર પડેલી વોર રૂમ બેઠકમાં એના માટે માન્યતા મળી હતી. તેથી હવે ટૂંક સમયમાં ભૂસંપાદનની પ્રક્રિયા શરૂ થવાના ચિહ્ન છે એવી માહિતી એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલક રાધેશ્યામ મોપલવારે આપી હતી.
વિરારથી અલિબાગ દરમિયાન 128 કિલોમીટરનો મલ્ટિપર્પઝ હાઈવે એમએસઆરડીસી બાંધશે. મુંબઈ મહાનગરનો આ પ્રથમ પ્રવેશ નિયંત્રિત માર્ગ છે. તેમ જ આ માર્ગની વચ્ચોવચ મેટ્રો રૂટ માટે જગ્યા છોડવામાં આવશે. એમાં વસઈ ખાતેના નેશનલ હાઈવે નંબર 8 પરના નવઘરથી પેણ તાલુકાના નેશનલ હાઈવે 66 પરના બલાવલી ગામ વચ્ચેનો 98.5 કિલોમીટરનો માર્ગ પહેલાં બાંધવામાં આવશે.
એના માટે 55 હજાર કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. આ રસ્તા પર ચાર લેનના બે માર્ગ તથા રસ્તાની વચ્ચે મેટ્રો માટે સ્વતંત્ર લેન હશે. આ માર્ગ જેએનપીટી, નવી મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ અને એમટીએચએલ જોડવામાં આવશે.
દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે બાંધવામાં આવતા મુંબઈ-દિલ્હી હાઈવેને પણ જેએનપીટી સાથે જોડવામાં આવી રહ્યો છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે અને વિરાર-અલિબાગ મલ્ટિપર્પઝ રોડનો 21 કિલોમીટરનો માર્ગ સમાંતર જાય છે. સિડકો હદમાં જતા આ બંને રસ્તા વચ્ચેનું અંતર ઓછું છે. તેથી ભવિષ્યમાં આ બંને રોડ બાંધતા અડચણ ન થાય એના માટે આ બંને રોડ એક સાથે સહિયારા બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
11 હજાર કરોડનો ખર્ચ : મોરબેથી પનવેલ નજીકના કરંજાડે જોઈંટ રોડ છ-છ લેનનો હશે. એના માટે લગભગ 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એમાંથી 5 હજાર કરોડ રૂપિયા બાંધકામ ખર્ચ, 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ ભૂસંપાદન માટે લાગે એવી શક્યતા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દરેકનું 50 ટકા રોકાણ અને એટલી જ આવકના ધોરણે એમએસઆરડીસીના માધ્યમથી રસ્તો બાંધવા મંજૂરી આપવી એવી માગણી કેન્દ્રિય રસ્તા અને પરિવહન વિભાગના સચિવે થોડા મહિના પહેલાં રાજ્ય સરકાર પાસે પત્ર દ્વારા કરી હતી. એને મંજૂરી મળી છે. રાયગડ જિલ્લાના પનવેલ તાલુકાના 30 ગામમાંથી આ રોડ જશે. એની જમીન ગણતરી પ્રક્રિયા પૂરી થઈ છે. તેમ જ જમીન અધિગ્રહણની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ટ્રાફિક જામ ઓછો કરવા મદદ થશે
વિરાર-અલિબાગ મલ્ટિપર્પઝ રોડ અને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વેના કારણે થાણે અને નવી મુંબઈનો ટ્રાફિક જામ ઓછો થવામાં મદદ થશે. અત્યારે નાશિક, ગુજરાતની દિશામાં જતો અને જેએનપીટી તરફ જતા વાહન થાણેના અંતર્ગત રસ્તા પર દાખલ થતા હોવાથી ઘણો ટ્રાફિક જામ થાય છે. આ રોડના કારણે કોઈ પણ અડચણ વિના જેએનપીટી જઈ શકાતું હોવાથી થાણેનો ટ્રાફિક જામ ઓછો થવામાં મદદ થશે.