મોરબી દુર્ઘટનાને (Morbi Tragedy) લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે.

મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની કરુણાંતિકા બાદ દેશભરમાં પડઘા પડ્યા છે, ત્યારે દુર્ઘટના ને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક SITની ટીમ બનાવવામાં આવે. SITની ટીમની રચના કરી તપાસ કરવામાં આવે. સાથે સાથે અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે બીજીવાર આવી ઘટના ન બને તે માટે દેશભરમાં આવેલા જૂના પુલ પર વધુ ભીડ એકત્રિત ન થાય તે માટે કડક નિયમો બનાવવા જોઇએ.
તંત્રના વાંકે 130 થી વધુ જીંદગી પાણીમાં હોમાઈ !
તમને જણાવી દઈએ કે, મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે મોરબી બ્રિજ અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે.
અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે વડાપ્રધાન મોદી
તો મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે મોરબીની મુલાકાતે પહોંચશે. અને દુર્ઘટનાના અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે. મહત્વનું છે કે, PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે PM મોદી સવારે દાહોદના માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે અને બપોરે પંચમહાલના જાંબુઘોડામાં જનસભા સંબોધશે. જેમાં PM મોદી 885.42 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બાદમાં મોરબી જવા નિકળશે.અને મોરબી સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટનાના હતભાગીઓને સહાનુભૂતી આપશે અને બાદમાં રાત્રે દિલ્લી જવા રવાના થશે.