રાજકોટ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગઈકાલે વેપારીના પુત્રના મોત બાદ આજે પત્ની માધુરીબેનનું સારવારમાં મોત નીપજ્યું.
રાજકોટ શહેરમાં વ્યાજખોરીને સદંતર ડામી દેવાની પોલીસ તંત્રની વાતો વચ્ચે વેપારીએ ચાર વ્યાજખોરની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળીને વેપારીએ પત્ની, પુત્ર સાથે ઝેરી દવા પીધી હતી. પરંતુ ગઈકાલે સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે આજે પત્ની માધુરીબેનનું સારવારમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિજનોએ પોલીસ સમક્ષ ન્યાયની માગ કરી છે.
વેપારીની તબિયત પણ નાજુક
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટી રોડ, મિલાપનગર-2માં રહેતા વેપારીએ પત્ની અને પુત્ર ધવલ સાથે 9 નવેમ્બરની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી વેપારી દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. વેપારીની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ, આઇપીસી 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં ગઈકાલે ધવલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આજે વેપારીની પત્નીએ દમ તોડી દેતા સોની પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

ગઈકાલે પુત્ર ધવલનું સારવારમાં મોત નીપજ્યું હતું.
ઝેરોક્સની દુકાન લખાવી લેવા ધમકી આપે છે
નોંધનીય છે કે મૃતક ધવલ પત્ની અમરેલી પિયર ગઇ છે. ધવલ તેના પિતા સાથે ઝેરોક્સની દુકાન ચલાવે છે. પિતાએ પુત્રને વાત કરી હતી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. જેથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી. જે ઝેરી દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું.

વેપારીની હાલત ગંભીર.
પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેર પીધું
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતાને પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું. હાલ ધવલ અને તેના માતા માધુરીબેનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.