રાજકોટ23 મિનિટ પહેલા
પાકિસ્તાનથી ભારતમાં આવેલા વ્યક્તિએ ભારતની નાગરિકતા મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. આ દરમિયાન ઘણા લોકો તેને પાકિસ્તાની પણ કહેતા હતા. પણ તેના અથાક પ્રયત્ન બાદ આજે આ પાકિસ્તાની વ્યક્તિને ભારતની નાગરિકતા મળી છે. જેથી તેમના આખા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમારી લાગણી સમજીને અમારી મદદ કરી
સુનિલ દેવ મૈસુરી આ વખત પહેલી વાર રાજકોટમાંથી મતદાન કરવાના છે. પાકિસ્તાનથી ભારત આવેલા સુનિલ દેવ મૈસુરીએ જણાવ્યુ કે હું 2009માં પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતી. ત્યારે અમે તેમને બરાબર ઓળખતા પણ ન હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ અમારી લાગણી સમજીને અમને પાકિસ્તાની પાસપોર્ટ સરેન્ડર કરીને સાત વર્ષ તેઓ ભારતમાં રહીને નાગરિકતા મેળવી શકશે તેમ જણાવ્યું હતું. અમે તો માંગણી પણ કરી ન હતી તેમ છતા તેને અમારી લાગણી સમજીને અમારી મદદ કરી છે.

જેની પાસે મદદ માંગી તેને સામે પણ ના જોયું
સુનિલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે જે લોકો પાસે મદદ માંગી હતી તે લોકોએ અમારી સામું પણ જોયુ ન હતું. ત્યારે કાયદાકીય દરેક પ્રકિયા પુર્ણ થયા બાદ અમને 7 વર્ષ બાદ મારા સહિત 25 લોકોને ભારતની નાગરિકતા મળી. આ સાથે બધાએ રાજકોટ કલેક્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. કારણ કે તેઓ પણ ખૂબ જ કાર્યશીલ રહી અને આ બાબતને આગળ વધારી હતી.

અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
પાકિસ્તાનથી આવેલા નાગરિકોને પાસપોર્ટ સરેંડર કરાવવા દિલ્હી જવું પડતું હતું. જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ જ્યારે રાજકોટમાં જ પાસપોર્ટ સરેન્ડર કરવાની વાત અમારા બધા માટે ખૂબ જ મહત્વની વાત હતી. બધી જ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ અમને ભારતની નાગરિકતા આપવામાં આવી. જેથી અમે બધા ખુબ ખુબ આભાર માની રહ્યાં છીએ.

નાગરિકતાની સાથે લાયસન્સ અને આધાર કાર્ડ પણ મળ્યું
પાકિસ્તાનથી ભારત આવેલા આ 25 લોકોને નાગરિકતા આપવાની સાથે સાથે ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ પણ આપવામાં આવ્યું છે. જેથી હવે અમે પણ અહિંયા અમારા ઘર બનાવી શકીશું અને આ વખતે અમે પહેલીવાર મતદાન કરીશું. આ સાથે જ દરેક લોકોને મત આપવા માટે અપિલ કરીશું. બધાથી મહત્વની વાત એ છે કે હવે અમને કોઈ પાકિસ્તાની નહીં કહે.